(જી.એન.એસ) તા. 26
નવી દિલ્હી,
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલા બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે ત્યારે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જાસૂસીના આરોપસર દિલ્હીમાંથી એક મોતીરામ જાટ નામના CRPF જવાનની ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે. NIAના જણાવ્યા મુજબ, મોતીરામ 2023થી પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ માટે જાસૂસી કરતો હતો. તેણે દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી ઘણી વખત શેર કરી હતી. તેને પાકિસ્તાનમાંથી વિવિધ માધ્યમો દ્વારા નાણાં મળતા હતા, જે તેની જાસૂસી પ્રવૃત્તિઓનો એક ભાગ હતો.
મોતીરામને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો. સુનાવણી બાદ તેને 6 જૂન સુધી એનઆઈએ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. છેલ્લા બે અઠવાડિયામાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી જાસૂસીના આરોપસર કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એનઆઈએ દ્વારા મોતીરામ જાટની ધરપકડ થઈ તે પહેલા ઉત્તર પ્રદેશની એટીએસ ટીમે પાકિસ્તાન માટે જાસૂસ કરતા યુવકની દિલ્હીથી ધરપકડ કરી હતી. યુપી એટીએસની ટીમે દિલ્હીના સલીમપુર વિસ્તારમાંથી હારૂન નામના વ્યક્તિને પકડ્યો હતો. હારુન પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારીના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો હતો. દિલ્હી ઝડપાયેલો હારૂન પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતા મુજમ્મિલ હુસૈનના સંપર્કમાં હોવાની લિંક સામે આવ્યા બાદ યુપીએ એટીએસએ તેની ધરપકડ કરી છે. હારૂન ભંગારનું કામ કરતો હોવાનો, તેને બે પત્ની હોવાનો અને તેણે પાકિસ્તાનમાં રહેતી તેની કાકીની પુત્રી સાથે બીજા લગ્ન કરેલા હોવાનો ખુલાસો થયો છે. હારૂનની લિંક પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરાત દાનિશ સાથે પણ જોડાયા હોવાનું સામે આવ્યું છે.

