(જી.એન.એસ) તા. 21
બેંગલુરુ,
કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશની હત્યા કરવામાં આવી છે, તેમનો મૃતદેહ બેંગલુરુ ના HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. ઘટના સમયે ઘરમાં ફક્ત તેમની પત્ની અને પુત્રી જ હાજર હતા.
68 વર્ષીય નિવૃત્ત ડીજીપીના પેટ અને છાતી પર ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પત્ની સાથે સંપત્તિ વિવાદ મામલે ઝઘડો થતાં પત્નીએ પહેલાં મરચાનો પાવડર ફેંકી પતિને દોરડાં વડે બાંધી દીધા હતા અને બાદમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હુમલામાં એક કાચની બોટલનો પણ ઉપયોગ થયો હતો.
આ ઘટના મામલે સુત્રોએ જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ નિવૃત્ત અધિકારીની પત્નીએ પોતે જ અન્ય એક પોલીસ કર્મીને આ હત્યા વિશે માહિતી આપી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઓમ પ્રકાશની પત્ની અને તેની પુત્રીની ધરપકડ કરી હતી. બંનેની આશરે 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હત્યામાં તેમની પુત્રીની ભૂમિકા છે કે નહીં, તેની તપાસ થઈ રહી છે. આ મામલે ડીજીપીના પુત્રે ફરિયાદ નોંધાવી છે.
નિવૃત્ત ડીજીપી અને તેમની પત્ની વચ્ચે ઘણા વર્ષોથી વૈવાહિક જીવનમાં મતભેદો ચાલી રહ્યા હતા અને આ સિવાય પૈસા માટે પણ અવારનવાર ઝઘડા પણ થતા હતા. બંનેને એક દીકરો અને એક દીકરી પણ છે. ઓમ પ્રકાશ 1981 બેચના આઈપીએસ અધિકારી હતા અને બિહારના રહેવાસી હતા. તેઓ 28 ફેબ્રુઆરી, 2015ના રોજ કર્ણાટકના ડીજી અને આઈજીપી બન્યા અને જાન્યુઆરી 2017માં નિવૃત્ત થયા હતા.
મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઓમ પ્રકાશ અને તેમની પત્ની વચ્ચે જમીન-સંપત્તિ મામલે વિવાદ થયો હતો. ઓમ પ્રકાશે પોતાની એક સંપત્તિ કોઈ સંબંધીના નામે કરી દીધી હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં પત્નીએ પતિની આંખમાં મરચાનો પાવડર નાખી તેમને દોરડા વડે બાંધી દીધા હતા. અને છાતી તથા પેટના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી.
તેમજ આ મામલે બેંગ્લુરૂના એસીપી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, અમને ગઈકાલે વહેલી સવારે ચાર વાગ્યે પૂર્વ ડીજીપીની હત્યા થઈ હોવાની જાણકારી મળી હતી. ઓમ પ્રકાશ 1981 બેન્ચના આઈપીએસ અધિકારી હતાં. તેઓ 2015માં કર્ણાટકના ડીજીપી બન્યા હતાં. તે પહેલાં તેઓ ફાયરબ્રિગેડ, ઈમરજન્સી સેવાઓ અને હોમ ગાર્ડ વિભાગના વડા તરીકે કાર્યરત હતા.


