(જી.એન.એસ) તા. 23
ઈઝરાયલી સેનાના સતત હુમલાને કારણે ગાઝામાં તણાવ વધી ગયો છે. મીડિયા સૂત્રો થકી મળી રહેલી માહિતી મુજબ ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું છે. ઇઝરાયલ દ્વારા રતન સમયે કરવામાં આવેલ હુમલામાં અલ-બરદાવિલની સાથે તેમની પત્ની અને 19 પેલેસ્ટિનિયનના પણ મોત થયા હતા. આ ઘટના બાદ હવે ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ વધે તેવી પૂર્ણ શક્યતાઓ છે.
આ મામલે મીડિયાના સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, દક્ષિણ ગાઝાની બે હોસ્પિટલોએ જણાવ્યું હતું કે, રાત્રિના હુમલામાં માર્યા ગયેલા બાળકો અને મહિલાઓ સહિત 17 લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હમાસે જણાવ્યું હતું કે ખાન યુનિસ નજીક થયેલા હુમલામાં તેના રાજકીય બ્યુરો અને પેલેસ્ટિનિયન સંસદના સભ્ય સલાહ બરદાવિલ અને તેમની પત્ની માર્યા ગયા હતા. બારદાવિલ હમાસના રાજકીય પાંખના જાણીતા સભ્ય હતા. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલા મૃત્યુઆંકમાં હમાસ નેતા અને તેમની પત્નીના નામનો સમાવેશ થતો નથી.
તો, બીજી તરફ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર એક મિસાઇલ છોડી હતી. જો કે, ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, આ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી અને તેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.

