(જી.એન.એસ) તા.૨૧
તારાપુર,
વટામણ-તારાપુર હાઈવે પર એક હોટલમાં ઉભેલી ટ્રક પાછળ સોમવારે વહેલી સવારે એક આઈશર ઘૂસી ગયું હતું. આઈશરની કેબીન ટ્રક પાછળ ભેગી થઈ જતાં આઈશર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેની બાજૂમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે આઈશર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના ધોરાજીમાં રહેતા ઈમ્તિયાઝ હુસૈનભાઈ ખોખર ગત રવિવારે સાંજે ધોરાજીથી ડુંગળી ભરી સુરત જવા નીકળ્યા હતા. સોમવારે વહેલી સવારે તેમણે વટામણ-તારાપુર હાઈવે પર કસબારા બ્રિજ નજીક આવેલી એક હોટલમાં રોકાયા હતા. ત્યારે સાડા પાંચ વાગ્યે હાઈવે પર બ્રિજ ઉતરતા પુરઝડપે આવેલી આઈશર ડુંગળી ભરેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માતમાં આઈશરની કેબીન ટ્રકની પાછળ ભેગી થઈ ગઈ હતી. જેથી આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કેબીનમાંથી આઈશર ચાલક ભાવેશભાઈ વલ્લભભાઈ વાજા અને બાજૂમાં બેઠેલા અરજણભાઈ શિવાભાઈ પટેલ ને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઈશર ચાલકને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અરજણભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઈમ્તિયાઝ ખોખરની ફરિયાદના આધારે તારાપુર પોલીસે આઈશર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

