(જી.એન.એસ),તા.૨૪
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરાઈ છે. વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ACP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 પોલીસકર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે શહેરમાં આવેલાં તળાવો પરનાં દબાણો દૂર કરવાની શરૂઆત થઈ છે.

