સાંસદ અને અધિકારીઓ પર હુમલો કરવા બાબતે 20 લોકો સામે FIR નોંધવામાં આવી
(જી.એન.એસ) તા. 9
સિવાન,
બિહારના સિવાનમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ અને જિલ્લા અધિકારી મુકુલ કુમાર ગુપ્તાની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા માટે મહારાજગંજના હરકેસપુર ગામ જતા જ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો જેમાં ગ્રામજનો એટલા ગુસ્સે થયા હતા કે, તેઓએ તમામ અધિકારીઓના તમામ વાહનો પર હુમલો કરી દીધો હતો. વાહનોમાં SDO અનિલ કુમાર, SDPO રાકેશ કુમાર રંજન, બીડીઓ અને સીઓ પણ સામેલ હતા.
સિનિયર અધિકારીઓની ટીમ જમીનનું નિરીક્ષણ કરીને પરત ફરી હતી ત્યારે ગ્રામજનો અચાનક રસ્તા પર આવી તમામ વાહનો અટકાવી દીધા અને ટીમ પર હુમલો કરી દીધો હતો. જોકે પોલીસની ટીમ હાજર હોવાથી તમામ અધિકારીઓનો બચાવ થયો છે. હુમલામાં કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.
આ બાબતે ઝોનલ ઓફિસર જિતેન્દ્ર પાસવાને કહ્યું હતું કે, કાયદેસર પ્રક્રિયા હેઠળ જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જમીન માલિકને નોટિસ મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ મહારાજગંજ પોલીસ સ્ટેશનમાં નામ સાથે આઠ લોકો વિરુદ્ધ તેમજ 12 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એસડીપીઓ રાકેશ કુમાર રંજને કહ્યું કે, આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

