(જી.એન.એસ) તા.1
નવી દિલ્હી,
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી સ્વીકારી લીધી હતી અને તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. 24 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
આ અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મોહમ્મદ ઈલ્યાસે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની માંગણી કરતી આ અરજી દાખલ કરી હતી.
ત્યારે આ મામલે દિલ્હી પોલીસે અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, કપિલ મિશ્રાની રમખાણોમાં કોઈ ભૂમિકા નહોતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, FIRમાં મિશ્રાની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, ‘ડીપીએસજી (દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ) ગ્રુપની ચેટ્સ દર્શાવે છે કે ચક્કાજામનું આયોજન 15 અને 17 ફેબ્રુઆરી, 2020ના રોજ ખૂબ જ અગાઉથી કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મિશ્રા પર દોષારોપણ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી.’

