પાક. સૈન્યના હુમલામાં માર્યા ગયેલા દેખાવકારોના જનાજાની નમાઝની તૈયારી ચાલતી હતી ત્યારે સૈનિકો મૃતદેહો જ ઉઠાવી ગયા
(જી.એન.એસ) તા. 23
બલૂચિસ્તાન,
બલોચ આર્મી સામે નિસફ્ળ પાકિસ્તાન સૈન્યે હવે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી રહી કે જેમાં, બલૂચિસ્તાનમાં બીએનએમ અને બીએસએ જેવા સંગઠનો અનેક સ્થળો પર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ધરણાં-દેખાવો કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાની સૈન્યે શનિવારે સવારે મહિલા અને બાળકો સહિત દેખાવકારો પર લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો હતો, જેને પગલે કેટલાક લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, તેની વિગતો મળી શકી નથી. વધુમાં પાકિસ્તાની સૈન્યે બલોચ આંદોલનનો ચહેરો ડૉ. મહરંગ બલોચ સહિત સેંકડો લોકોની ધરપકડ કરી હતી. બલોચ યકજેહતી કમિટિ (બીવાયસી)એ તેની સેન્ટ્રલ કમિટિના સભ્ય બેબર્ગ, તેમના ભાઈ હમ્માલ, ડૉ. ઈલિયાસ, બલોચ મહિલા સઈદા અને અન્ય અનેક લોકોની મુક્તિની માગ અંગે ગઈકાલે ક્વેટામાં ધરણાં કરવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ પોલીસના હુમલા પછી તેમના દેખાવો હિંસક બની ગયા હતા. પાકિસ્તાની પોલીસે શાંતિપૂર્વક દેખાવો કરતા લોકો પર ભારે અત્યાચાર ગુજારતા મહિલા બલોચ નેતા મહરંગ બલોચે સમગ્ર બલૂચિસ્તાન બંધની હાકલ કરી હતી, જેને પગલે શનિવારે સવારથી જ બલૂચિસ્તાનમાં ઠેર ઠેર સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
આ મામલે મહરંગ બલોચે એક્સ પર એક વીડિયો મેસેજમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર ક્વેટામાં શાંતિપૂર્ણ રીતે ધરણાં દેખાવો કરી રહેલા બલોચ કાર્યકરો પર ગોળીઓ ચલાવવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, શરૂઆતથી જ પાકિસ્તાન સરકારે અમારા ધરણાં દેખાવોનો જવાબ હિંસક અને અત્યાચારથી આપ્યો છે.
મહરંગે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના સુરક્ષા દળોએ બલોચ દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો, અશ્રુવાયુના શેલ છોડયા અને સામુહિક ધરપકડો કરી. તેણે નેટવર્ક બંધ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, ‘બલોચ સોલિડેરિટી કમિટી પાકિસ્તાન સરકારના અત્યાચાર અને આતંકવાદ વિરુદ્ધ સમગ્ર બલૂચિસ્તાન બંધની જાહેરાત કરે છે.શનિવારે બલૂચિસ્તાનમાં બંધ અને ચક્કાજામ થશે.’
પાકિસ્તાની સૈન્યે બલોચ મહિલા, બાળકો અને શાંતિપૂર્ણ દેખાવકારો પર હિંસા કરી હતી. પાકિસ્તાની સૈન્યે તેમના હુમલામાં માર્યા ગયેલા દેખાવકારોના જનાજાની નમાજની યોજના બનાવાતી હતી તેવા સમયે તેમના મૃતદેહો પર કબજો કરી લીધો હતો. આ સાથે પાકિસ્તાની સૈન્ય મહરંગ બલોચ સહિત અનેક અન્ય બલોચ કાર્યકરોને ધરણાં સ્થળ પરથી ઉઠાવી ગયું હતું અને તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યાર પછી દેખાવકારોએ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાની સૈન્ય મહરંગ બલોચની ધરપકડ કરીને લઈ ગયા પછી તેમને ગાયબ કરી દેવાયા છે. તેમને ક્યાં લઈ જવાયા છે તેની કોઈ માહિતી જાહેર કરાઈ નથી.
બલૂચિસ્તાનમાં બલોચ નેશનલ મૂવમેન્ટ અને બલોચ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન આઝાદ જેવા સંગઠનોના કાર્યકરોને પાકિસ્તાની સૈન્ય નિશાન બનાવી રહ્યું છે અને તેમને ગાયબ કરી દેવામાં આવે છે. તેમની હત્યા કરાવવામાં આવે છે. ડરાવી-ધમકાવી આ સંગઠનોને ચૂપ કરાવવાનો અને તેમના દેખાવોને દબાવી દેવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.

