આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર
(જી.એન.એસ) તા. 18
મુંબઈ,
શિવસેના (UBT) નેતા, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દ્વારા નાગપુર હિંસા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે. તેમણે હિંસાનો સામનો કરવાની સરકારની રીત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. ઠાકરેએ કહ્યું કે નાગપુર હિંસા પર CMOએ પ્રતિક્રિયા કેમ ન આપી ? સરકાર અને ગૃહ વિભાગને આવી ઘટનાઓ બનતા પહેલા જ તેની માહિતી મળી જાય છે. શું સરકારને આ વાતની ખબર નહોતી ? ઠાકરેએ ભારતની તુલના વિયેતનામ સાથે કરી. તેને કહ્યું કે ભારત કરતા નાનો અને ઓછી વસ્તી ધરાવતો દેશ સતત ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં વિશ્વભરમાં નામના મેળવી છે.
મણિપુરમાં 2023 થી હિંસા ચાલી રહી છે, આખું રાજ્ય સળગી રહ્યું છે. શું હવે ત્યાં રોકાણ થશે, શું પ્રવાસન વધશે ? ક્યાંક સરકાર મહારાષ્ટ્રને એ જ દિશામાં લઈ જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં વિયેતનામ ભારત કરતા 3 ગણું આગળ છે. ભાજપ (BJP) આપણા દેશને જિલ્લાઓ, ધર્મો અને જાતિઓમાં વહેંચવાનું કામ કરી રહી છે. આ પહેલા નાગપુર હિંસા અંગે CM દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ બહાર આવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે હિંસા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી. પહેલા એક અફવા ફેલાવવામાં આવી કે ધાર્મિક સામગ્રી સળગાવી દેવામાં આવી છે. આ અંગે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે પણ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

