પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં કમાન આવી શકે છે જેથી નવા સમીકરણો ગોઠવાય
(જી.એન.એસ) તા. 24
નવી દિલ્હી,
દેશમાં યોજાયેલ અલગ અલગ ચૂંટણીઓમાં સતત હાર બાદ હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા મજબૂત ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની યોજના પર વિચારણા શરુ કરી છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેની કમાન પ્રિયંકા ગાંધી વાડ્રાને સોંપવામાં આવી શકે છે. હાલમાં, કર્ણાટકમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા સુનીલ કાનુગોલુના નેતૃત્ત્વમાં પાર્ટીની ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ અવ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ, જેમાં અગ્રણી સચિન પાયલટ છે, તેમણે આગામી વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણી માટે પ્રિયંકા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સૂત્રો નું માનીએ તો, કોંગ્રેસ પાર્ટી દ્વારા આશરે અડધો ડઝન રાજ્યોના પ્રભારીઓની પણ બદલી કરશે. અહીં નવા ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા કોઈપણ ચાર્જ વગર જ પાર્ટીમાં મહાસચિવનો હોદ્દો ધરાવે છે. આવી સ્થિતિમાં તેમને મોટા રાજ્યનો હવાલો સોંપવામાં આવી શકે છે અથવા ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમની રચના કરીને તેમને મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે.
હવે આ પરિસ્થિતિમાં મીનાક્ષી નટરાજન, શ્રીનિવાસ બીવી, પરગટ સિંહ, બીકે હરિપ્રસાદ, સચિન રાવ, અજય કુમાર લલ્લુ, હરીશ ચૌધરી, જિજ્ઞેશ મેવાણી, ક્રિષ્ના અલાવારુ, મોહમ્મદ જાવેદ, અભિષેક દત્ત, પ્રકાશ જોશી અને ગણેશ ગોડિયાલ જેવા પાર્ટી હાઇકમાન્ડના નજીકના ગણાતા અનેક નેતાઓ ફરી પાછા સંગઠનમાં સારી જગ્યા પર આવી શકે તેમ છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં મોટા ફેરફારો થવાની સંભાવના છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ(AICC)ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘નિષ્ક્રિય’ સભ્યોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેમાં એકે એન્ટોની, અંબિકા સોની, મુકુલ વાસનિક અને આનંદ શર્માનો સમાવેશ થાય છે.
પાર્ટી નેતૃત્ત્વએ 36 સભ્યોની CWCમાં કેટલાક નવા નિયુક્ત પદાધિકારીઓનો સમાવેશ કરવો પડશે અને તેથી વર્કિંગ કમિટીમાં કેટલીક નવી બેઠકો બનાવવી પડશે. જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, રણદીપ સુરજેવાલા અને ચરણજીત સિંહ ચન્નીની જગ્યાઓ પણ ખાલી થઈ રહી છે.

