(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.7
કદાચ કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે કાશ્મીર ને વિશેષ દરજ્જો આપતી કલમ 370 એક ઝાટકે ભૂતકાળ બની જશે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ ના બીજા લોખંડી પુરુષ બનેલા હોમ મિનિસ્ટર અમિત શાહની જોડીએ જે કર્યું તેને લઈને સમગ્ર દેશમાં મોદી-શાહના ભારોભાર વખાણ થઇ રહ્યા છે. લોકસભા ઈલેકશનમાં પ્રચંડ બહુમતિ મેળવીને મો-શા ની જોડીએ 370 ને નિરસ્ત કર્યા બાદ હવે રામ મંદિર ની તૈયારીઓ શરુ થવામાં છે અને ૨૦૨૦ રામ મંદિર બાદ કોમન સિવિલ કોડ કાયદો રદ્દ થયો નથી કે ૨૦૨૪ ની ચૂંટણીઓ પહેલા ભારત ને સત્તાવાર હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરીને મોદી અને શાહ ખરા અર્થમાં હિંદુ હૃદય સમ્રાટ તરીકે કરોડો કરોડો હિંદુઓનાં દિલોમાં સ્થાન મેળવે તો નવાઈ નહિ અને આ સમગ્ર પ્રક્રિયા ને માત્ર 1800 દિવસ જ થશે….!
એક સમયે ભારત હિંદુ રાષ્ટ્ર હતું. સમય જતા મોગલો-હુણો-પોર્ટુગીઝો-અંગ્રેજો ના કાળ માં ભારતનું હિંદુ રાષ્ટ્રનું બિરૂદ ભૂંસાઈ ગયું જેને ફરીથી ભારતમાતાનાં મુગુટમાં મુકવા માટે વર્ષોથી આરએસએસ –સંઘ પરિવાર અને ભાજપ દ્વારા અવિરત પ્રયાસો ચાલી રહ્યા છે. જેના પ્રથમ પગથીયા તરીકે સંઘનિષ્ટ વડાપ્રધાન મોદીએ એક જ ઝાટકે કલમ 370 પૂરી કરી નાંખીને જમ્મુ-કાશ્મીર માટે વિકાસ ના દ્વાર ખોલી નાંખ્યા છે. ભાજપે હિન્દુ રાષ્ટ્ર માટે 370 દુર કરવી, અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવું અને કોમન સિવિલ કોડ નો અમલ કરવાનો એજન્ડા હાથમાં લીધો છે. તેમાંથી એક 370 મી કલમ તો નિરસ્ત કરી નાંખી છે. ૨૦૧૯માં 370 ગઈ અને ૨૦૨૦માં રામ મંદિર નું કામ શરુ થઇ સકે છે. સુપ્રીમ કોર્ટમાં આખરી સુનાવણી શરુ થઇ છે. જો કે મંદિર તરફીઓ તો ખાલી રાહ જોઈ રહ્યા છે કે એકવાર કોર્ટ નો જે કાઈ પણ ચુકાદો આવે તે પછી મંદિર વહી બનાયેંગે…ના જયઘોષ સાથે કામ શરુ કરવાની ગણતરી છે.
રાજકીય સુત્રો માને છે કે 2019 માં જે રાજ્યોમાં વિધાનસભા ની ચૂંટણીઓ યોજાવાની છે તેમાં કાશ્મીરના મામલે ભાજપ ને ફરી સત્તા મળે તેમ છે. ૨૦૨૨માં પણ જ્યાં જ્યાં ચૂંટણીઓ યોજાવાનીછે તેમાં કેસરિયો લહેરાવશે અને લોકસભાની જેમ રાજ્યસભામાં ભાજપની પ્રચંડ બહુમતિ થઇ જતા ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ પહેલા ત્રીજો મહત્વ નો મુદ્દો કોમન સિવિલ કોડ પાસ કરીને સૌ એક સમાન અને એક દેશ એક કાનુન નો અમલ કરીને ભારત ને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાનો ઐતિહાસિક પ્રસ્તાવ અમિત શાહ રજુ કરીને કરોડો હિન્દુઓની હિંદુ રાષ્ટ્ર ની મનોકામના પૂર્ણ કરે તો નવાઈ નહિ.
સુત્રોએ કહ્યું કે આગામી 1800 દિવસમાં જ ભારત હિંદુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તીન તલાક નાબુદ કરતા મુસ્લિમ સમાજ ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ માટે વડાપ્રધાન મોદી સાક્ષાત ખુદા બન્યા છે. વિરોધ પક્ષો હિંદુ રાષ્ટ્ર નો વિરોધ કરે તેમ નથી. જેમ 370 માટે કર્યું તેમ હિંદુ રાષ્ટ્ર માટે પણ વિરોધ પક્ષો ની પીપુડી વાગે તેમ નથી. કોંગ્રેસ અને રાહુલ ગાંધી એ સોફ્ટ હિન્દુત્વ તો અપનાઈ લીધું છે ત્યારે કોંગ્રેસે પણ જખ મારીને હિંદુ રાષ્ટ્ર ને ટેકો આપવો પડે તેમ હશે. હિંદુ રાષ્ટ્ર રૂપી રેલ ગાડી નીકળી ચુકી છે. ૧૮૦૦ દિવસ એટલે કે પાંચ વર્ષમાં એક પછી એક સ્ટેશન જેમ કે રામ મંદિર પછી કોમન સિવિલ કોડ પાર કરીને સંસદમાં પહોંચશે અને ૨૦૨૪ માં સસદ માં ભારત ને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાનો બંધારણીય સુધારો રજુ થઇ રહ્યો હશે…..!