સંસદના બજેટ સત્ર પહેલાથી જ દેશના અર્થતંત્ર પર અર્થકારણી – અનર્થકારણી પોતાના વિચારો રજુ કરી રહ્યા છે . સૌથી વધુ ધનવાન દેશોમાં ભરત દેશ વિશ્વ માં છઠ્ઠા ક્રમે !!! (આશ્ચર્ય જ આશ્ચર્ય) . આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એ એક ન્યુઝ ચેનલ ના ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે “ તમારી ચેનલની ઓફીસ ની બહાર પકોડી વાળો ખુમચો લઈને ઉભો રહે તો તે જોબ ક્રિયેશન ગણાય કે નહિ ?” આનો જવાબ એન્કર આપી શક્યો નહિ માત્ર મો મલકાવ્યું હતું .
અર્થકારણ સમજવા માટે દોઢ ડાહ્ય એ ભાજપના એક અર્થશાસ્ત્રીને ફોન કર્યો . મન માં ઉઠતા આવા બધા તરંગો અંગે ભાજપી મિત્ર પાસે સ્પષ્ટતા માંગી . તો સંઘ ભાજપના સંસ્કાર ધરાવતા મિત્ર એ કહ્યું “ આપણા નરેન્દ્ર ભાઈ હજુ પ્રચારક જ કહેવાય , પ્રચારક એટલે બધો ત્યાગ કરી સંઘ કાર્ય કરવા ઘરબાર છોડી ને સુકા રોટલા પર જીવન વિતાવે તેને પ્રચારક કહેવાતા હતા . હવે એ આદર્શ રહ્યો નથી એ અલગ વાત છે . હવે માની લો કે સંઘના સરસંચાલક મોહન ભાગવતજી ને એમ લાગે કે મારે પણ વડાપ્રધાનને રોજગારીનો પ્રશ્ન હલ કરવા મદદરૂપ થવું છે . જેથી સંઘમાં મોટા પાયે પ્રચારકોની ભરતી શરુ કરે તો તે રોજગારી નિર્માણ કરી કહેવાય કે નહિ ? તમે કદાચ નાં પાડશો પણ આપણા વડાપ્રધાન તેને પણ રોજગારીની પરિભાષામાં સમાવિષ્ટ કરી દેશે કેમકે જેતે નીમાયેલા પ્રચારાકનો ખર્ચ તો હવે અન્ય સ્વયંસેવકો અથવા ઉદ્યોગપતિ ઉપાડી લેવાના છે . જેથી એક વ્યક્તિનો ખર્ચ અંગે નો પ્રશ્ન હાલ થયો કહેવાય .”
મીતા ને પૂછ્યું કે નોટબંધી અને જી.એસ.ટી પછી પણ ભારતનું અર્થતંત્ર ફૂલ ગુલાબી હોવાના આંકડા ઓ , જીડીપી નો ઉચો જતો ગ્રાફ આ બધું શું છે ? તો જવાબ મળ્યો કે “ આપણા નરેન્દ્રભાઈ બિચારા ચા વેચતા હતા . તેમને અર્થકારણ ની ચા પુરતી સીમિત સમજણ હોય તે સમજી શકાય છે . તેથી તેમણે સચિવોને જ કહેવું પડે કે મારા શાસન માં જીડીપી નીચે જવો જોઈએ નહિ તમારે જે કરવું હોય તે કરો . સાહેબ ના આદેશને કોઈ અવગણી શકે નહિ . જેથી બાહોશ આઈ.એ.એસ અધિકારીઓ બોટમ પ્રાઈસ અને બોટમ યર જેવાં પાયાના સિદ્ધાંતોમાં આઘું પાછું કરીને ગ્રાફ ને જરા પણ નીચે જવાદેતા નથી . એટલે દેશનો વિકાસ ગ્રાફ વધતો જ ચાલ્યો છે .” દોઢ ડાહ્યા એ પૂછ્યું કે કોંગ્રેસમાં તો અડધો ડઝન અર્થશાસ્ત્રીઓ છે તેઓ કેમ આ બધું જાહેર કરતા નથી ? તો મિત્ર એ કહ્યું “ શું યાર તમે પણ , મિડિયા માં છો છતાં વાસ્તવિકતા થી દુર કેમ ભાગો છો . વિપક્ષના આક્ષેપોને મિડિયા વાળા થોડોઘણો ઉપરછલ્લો ઉલ્લેખ કરીને બંધ કરી દે છે જેથી દેશના મોટા ભાગના અનર્થશાસ્ત્રીઓ ને તેની સમજ પડતી જ નથી . બાકી તો ભક્તિ એટલી તીવ્ર છે કે વિપક્ષની તમામ સાચી વાત પણ પીપુડી જ સાબિત થાય છે . સાહેબ પ્રતિ અતિવિશ્વાસ અને કોંગ્રેસ પ્રતિ અવિશ્વાસ ના કારણે તજજ્ઞોના આવા રિપોર્ટો હેડલાઈનો બનતા રહેશે . સૌથી ધનવાનો માં આપણો દેશ મોખરે છે તેથી ખુશ થવાનું પરંતુ ધનવાનોમાં તો રાજકારણીઓ , રાજ્યઆશ્રિત બિલ્ડર અને ઉદ્યોગપતિઓ તથા ઉચ્ચ અધિકારીઓ જેવાં મર્યાદિત લોકો જ હોય છે . મધ્યમવર્ગ હવે ગરીબ થતો જાય છે આ ખાઈ વધી રહી છે તેની કોઈને ચિંતા નથી પરંતુ આગામી દિવસોમાં આ ઈનબેલેન્સ અર્થવ્યવસ્થા દેશને બહુ મોટું નુકસાન કરશે .” મિત્ર એ વાત પૂરી કરી ફોન મૂકી દીધો .
હસવું રોકી ન શકાય તેવાં સમાચાર – પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કોંગ્રેસ કડક પગલા લેશે
અમે થોડા પત્રકારો કોંગ્રેસ કાર્યાલયમાં જેટલું ફેફ્સાફાડ હસ્યા છીએ એટલું તો ક્યારેય નહિ હસ્યા હોઈએ . અમને આ હાસ્ય કોગ્રેસના એક સમાચારે પૂરું પાડ્યું . ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે જાહેર કર્યું કે “ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કોંગ્રેસ કડક પગલા લેશે .” લો બોલો માનવા માં નાં આવે એવા આ સમાચાર છેને ! અમારા એક મિત્ર એ કહ્યું ભાજપ તો ઈચ્છે જ છે કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત બનાવવું પણ શું ગેહલોતજી પણ એવું જ ઈચ્છે છે ? પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા તમામ સામે કડક પગલા લેવા માં આવે તો પછી કાર્યાલયનો પગારદાર સ્ટાફ પણ બચી શકે નહિ , તાળું જ મારવાનું આવે . આટલા વર્ષોમાં કાર્યકરોથી માંડી ને નેતાઓએ કાર્યાલયમાં ગાળાગાળી , મારામારી અને તોડફોડ કર્યા છતાં પણ તેઓ આજે વટ થી પક્ષમાં હોદ્દા ઓ મેળવે છે અને ટિકિટ પણ મેળવે છે . પક્ષ તેમને કશું જ કહી શક્તિ નથી . આશ્ચર્ય તો ત્યારે થાય છે કે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાય જાય અને પછી કોંગ્રેસ પક્ષ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરે . જે ધારાસભ્યો તમને લાત મારીને જતો રહ્યો છે તેમને સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ ખરો? તમારે પગલા જ લેવા હોય તો કોંગ્રેસ કાર્યાલય માં ચેમ્બરમાં બેસી ને માત્ર ને માત્ર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પૈકી એકાદ સામે લાલ આંખ તો કરી બતાવો . આવું પણ કોંગ્રેસમાં ક્યારેય જોવા મળ્યું નથી . પગલા લેવા ની વાત દોઢ વર્ષ ચાલશે અને ત્યાં સુધીમાં લોકસભાની ચુંટણી આવી જશે . પછી નવી ઘોડી ને નવો દાવ , લોકસભાની ચુંટણી માં પક્ષ વિરુધી પ્રવૃતી અંગે પણ આવા જ હાકલા પડકારા થશે .
ભાજપમાં મંત્રીઓ , ધારાસભ્યો અને કાર્યકરો પૈકી કોઈ ખુશ કેમ નથી !!
આપણા નરેન્દ્રભાઈ જયારે ગુજરાતની ધુરા સંભાળતા હતા ત્યારે ભાજપમાં સામાન્ય કાર્યકરથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધીના મોટા ભાગના નેતાઓ ખુશ હતા . હવે આપણા નરેન્દ્રભાઈ એ દેશની ધુરા સંભાળી છે . તેઓ હવે ગુજરાતમાં નથી પણ દિલ્હી માં પી.એમ હાઉસ માં વસે છે જેથી કાર્યકરો તેમને મળી શકતાં નથી . આપણા નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવે ત્યારે ટાઈટ શેડ્યુલ અને સલામતી ના કારણે કોઈ કાર્યકર નજીક થી દર્શન પણ કરી શકતો નથી . આ બધી સ્થિતિ ના કારણે કે પછી ગુજરાતના વર્તમાન સાહેબો ના કારણે જે હોય તે પણ કોઈ ખુશ જોવા મળતું નથી . વિધાનસભાની ચુંટણી બાદ નાયબ મુખ્યમંત્રી , પછી મંત્રીઓ ત્યારબાદ ધારાસભ્યો આ સૌએ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી . પરંતુ દોઢ ડાહ્યા સમક્ષ તો ખાનગીમાં અનેક હોદ્દેદારો , પૂર્વ સભ્યો અને પૂર્વ ચેરમેનો સૌ કોઈ પોતાની નારાજગી વ્યક્ત કરે છે ત્યારે વિચાર આવે કે સરપંચ થી લઈને સંસદ સુધીની તમામ સત્તા ઓ જે પક્ષમાં હોય તેના કાર્યકરો આમ નારાજ કેમ હશે . સરકાર સામે પણ અસંતોષ અને સંગઠન સામે પણ અસંતોષ . દોઢ ડાહ્યા એ એક નેતા સમક્ષ આ નારાજગી નું કારણ પૂછ્યું તો તેમનો ટુંકો જવાબ હતો કે “ આપણા નરેન્દ્રભાઈ કોઈ સક્ષમ કાર્યકર કે નેતાનું ઓપરેશન કરતા ત્યારે તેઓ ડોક્ટર ની જેમ તેણે વિશ્વાસ માં લેતા હતા અને કહેતા કે થોડીવાર દુખશે પણ પછી કાયમ માટે આરામ થઇ જશે . જેથી પદ , હોદ્દા કે ટિકિટ ગુમાવનારા પણ ડોક્ટર નરેન્દ્ર મોદીના પ્રશંશક રહેતા હતા . આજે સ્થિતિ ઉલટી છે . ઓપરેશન થીએટર વિના અને કોઈ પણ જાત ની સારવાર વિના બિન અનુભવી નકલી ડોકટરો આડેધડ ઓપરેશનો કરી રહ્યા છે . આ બધી ચીસો એની છે , તકલીફ એ છે રાજકારણમાં આવા નકલી ડોક્ટરોની કોઈ ડીગ્રી તપાસતું નથી .” મિત્ર ની વાત અંગે દોઢ ડાહ્યો વિચારતો થઇ ગયો કે કયા ડોકટરે કોનું ઓપરેશન કર્યું .