Home ગુજરાત વાયબ્રન્ટ ગુજરાતઃ રોશનીની ભવ્યતા માટે પ્રદુષણના ભરડામાં પાટનગર….!?

વાયબ્રન્ટ ગુજરાતઃ રોશનીની ભવ્યતા માટે પ્રદુષણના ભરડામાં પાટનગર….!?

621
0

 

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.18
ગુજરાત વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯ને ભવ્યાતિભવ્ય ઓપ આપવા પાછળ પર્યાવરણ જાળવણીને નજર અંદાજ કરી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરને જોડતા રસ્તાઓ ઉપરાંત એસજી હાઈવે તથા ગાંધીનગરને જોડતા તમામ રસ્તા સાથે સમગ્ર ગાંધીનગર અને સરકારી બિલ્ડિંગોને ભારે રોશનીકરીને ભવ્યતા અર્પી છે. પરંતુ પર્યાવરણ માટે વારંવાર ચેતવણી આપતી પર્યાવરણ બચાવ માટે અભિયાન ચલાવતી રાજ્ય સરકાર દ્વારા જ પર્યાવરણ દૂષિત થઇ રહ્યું છે પરંતુ વાયબ્રન્ટ સમિટની લાયમાં તે તરફ ધ્યાન જ આપવામાં આવ્યું નથી.
વાયબ્રન્ટ સમિટ પેવેલિયન સહિતના સમગ્ર વિસ્તારને ભવ્યાતિભવ્ય ઓપ આપવા વિવિધ કલાકૃતિ દર્શાવવા સાથે સુશોભિત લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં અંદાજે મોટા મોટા ડીઝલ જનરેટર મૂકવામાં આવ્યા છે. જેથી લાઇટિંગ વ્યવસ્થામાં ખલેલ ના પડે તો સમગ્ર ગાંધીનગરમાં વિધાનસભા સહિતની સરકારી બિલ્ડિંગો, રોડ રસ્તા વૃક્ષોને વિવિધ પ્રકારે લાઇટિંગ શણગારી નવોઢાના વાઘા પહેરાવ્યા છે. જેમાં અંદાજે ૨૮ ઉપરાંત જનરેટરો લગાવવામાં આવ્યા છે. જે જનરેટરો ડિઝલથી ચાલે છે.
એજ રીતે એરપોર્ટથી ગાંધીનગર જતા રસ્તાઓને મધ્યમાં તેમજ બંન્ને તરફના વૃક્ષો,થાંભલા,સેન્ટર જાળી તથા વૃક્ષા-થાંભલાઓને પણ વિવિધ લાઇટો,સિરિઝો,સર્ચલાઈટોથી સુશોભિત કરવામાં આવ્યા છે અને આ રોડ રસ્તાઓની લાઇટો ઝગમગતી રાખવા માટે અંદાજે એક હજાર જેટલા ડિઝલ જનરેટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે….!!!
આ ડિઝલ જનરેટરો જે રીતે વાયુ પ્રદૂષણ ઓકીને પર્યાવરણ દૂષિત કરી રહ્યા છે તેને માટે જવાબદારી કોની,વાયુ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે વાત સરકાર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમજે છે કે નહીં તેવો સવાલ ઉદ્દભવવા પામ્યો છે. આ તો થઇ ડિઝલ જનરેટરોની વાત પરંતુ રોડમાં નડતર રૃપ ના હોય તેવા અનેક વૃક્ષોની મજબૂત ડાળીઓને પણ કાપી નાંખી વાયુ પ્રદૂષણમાં વધારો કર્યો છે. ત્યારે જવાબદારી કોની કહેવાય…..????
વાયબ્રન્ટ સમિટ સામે કોઇ વાંધો ન હોઇ શકે પરંતુ વાયબ્રન્ટ સમિટ બાદ કેટલાક બેરોજગારોને રોજગારી મળે છે તેની ચોક્કસ સત્ય વિગતો પણ સરકારે આપવી જોઈએ. કારણ કે આ પહેલાં આઠ વાયબ્રન્ટ સમિટ યોજાઇ ગઇ દર વખતે એમઓયુ અને રોકાણ થવાના મસ મોટા આંકડા અપાય છે. પરંતુ ખરેખર રોકાણ કેટલુ થયું અને કેટલાને રોજગારી મળી તેની વિગતો આજના કોમ્પ્યૂટર યૂગમાં આપી શકાય તેમ છે. પરંતુ સરકારી તંત્ર બેરોજગારોના આંકડા આપવાથી અને આઠ વાયબ્રન્ટ સમિટના એમઓયુ બાદ મળેલ બેરોજગારીના આંકડા આપવામાં સરકારી જવાબદાર તંત્ર ફીકા ખાંડતુ રહ્યું છે અને નોંધનીય છે કે ગુજરાતમાં આઠ લાખ જેટલા યુવાનો બેરોજગાર છે. ત્યારે સરકાર સત્ય હકીકતો પ્રજા સમક્ષ જાહેર કરે તેવું આમ પ્રજા ઇચ્છી રહી છે.

Previous articleવાઈબ્રન્ટ ગુજરાતઃ રૂપાણી સરકારની ગંભીર ભૂલ, રાષ્ટ્રધ્વજનું કર્યું જાહેર અપમાંન…
Next articleનિરસ વાઇબ્રન્ટ ગુજરાત-2019: આજનું પરફોર્મન્સ પણ નિસ્તેજ, આમ કેમ મોદીજી…?