(જીએનએસ:હર્ષદ કામદાર)
દેશભરમાં ભાજપનો સૂર્ય છેલ્લા પાંચેક વર્ષ ઉપરાંતથી સતત મધ્યાન્હે તપી રહ્યો છે. અને તેમના નેતાઓ “યાવત ચંદ્ર દિવા કરૌ” ની જેમ કાયમી શાસન મળી ગયું હોય તેવા દિવાસ્વપ્નમા રાચી રહ્યા છે. આમ પ્રજાની તકલીફો સમજવામાં નિષ્ફળ ગયેલ ભાજપા પરિવાર પ્રજાના સળગતા પ્રશ્નો જાણે અવસર હોય તેમ સોશિયલ મીડિયા ઉપર ટીકા કરવા અને આવકારવા સિવાય કાશુજ ન શિખ્યા હોય તેમ વિવિધ કોમેન્ટો મૂકી આમ પ્રજાને ગુમરાહ કરવા સિવાય કંઈ જ કરતો નથી. કેન્દ્ર સરકારે એક પછી એક એવા પગલાં લીધા કે આમ પ્રજાની કચુંબર થઈ ગઈ છે….! પ્રજાને પસંદ ન પડે તેમજ પરવડે નહીં તેવા નિર્ણયો કર્યા. એ જ રીતે એવા નવા નવા કાયદા બનાવ્યા કે સામાન્ય લોકોને જ તેનો ભાર સહન કરવાનો વારો આવે છે જેને ભાજપાના એક પણ નેતા કે પ્રજા વચ્ચે રહેતો તેનો સામાન્ય સભ્ય સમજી શક્યો નથી… અને તેનીએવી હિંમત નથી કે હિંમત રહી નથી કે નેતાગણ સમક્ષ સાચી વાત બતાવી શકે તે રજૂઆત કરી શકે…! બીજી તરફ ભાજપાને એટલો બધો સત્તાનો મોહ લાગ્યો છે કે કોઈ પણ રાજ્યમાં રાજ્ય સંસ્થાઓમાં કે સ્વરાજ્યની સંસ્થાઓમાં વિપક્ષ કે વિરોધ કરનાર હોવો જ ન જોઈએ અને એ માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી.. પરિણામે પક્ષ પલટાનુ જોલ વધારાવી દીધુ….! દરેક રાજ્ય કે તેની સંસ્થાઓમાં માત્ર ભાજપાના લોકોની જ સત્તા બની રહે તેવો ખેલ કર્યો જેમા સફળતા પણ મળી.. કારણ શરૂઆતના સમયમાં લોકોનો મોહ-લગાવ ભાજપા તરફ સવિશેષ હતો. એટલે કોઈ વિરોધ ન થયો. પરંતુ નોટ બંધીએ દેશભરના સામાન્ય લોકોમાં ધરતીકંપ સર્જી દીધો. આમ પ્રજાની પરેશાની બેહદ વધી ગઈ.લોકોમા ભાજપા પ્રત્યે નફરત પેદા થઈ ગઈ.. પરિણામે તેનો પ્રથમ ફટકો કર્ણાટકમાં પડ્યો અને પછીથી ઊંધા કાંધે નાખતો ફટકો મહારાષ્ટ્ર રાજ્યમાં પડ્યો છે. તેની સાથેજ રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદારોએ ભાજપાને ધોબીપછાડ આપીને સુધરી જવા ચેતવણી આપી છે….!! પણ સવાલ એટલો જ છે કે તેઓ સમજશે કે કેમ…..?
કેન્દ્રમાં ભારે સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપા નેતાગણ એમ જ સમજે છે કે “યાવત ચંદ્ર દિવાકરૌ” જેમ ભાજપાનું શાસન છે. એટલે એક પછી એક રાજ્યમાં સંખ્યાબળ ન હોવા છતાં શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી એન કેન રીતે ભાજપાની સરકારો બનાવી દીધી. તે સાથે વિરોધ પક્ષને ટાર્ગેટ બનાવવાનું શરૂ કરી દીધુ… સત્તાસ્થાને જે કોઈ પક્ષની સરકાર હોય તેને પ્રજાને જવાબ આપવાનો હોય છે અને વિરોધ પક્ષે હંમેશા સવાલો પૂછવાના કે કરવાના હોય જે એક પરંપરા છે પરંતુ ભાજપાએ નવી જ નીતિ અખત્યાર કરી. વિપક્ષને સવાલ પૂછીને જવાબ માંગવાની…. વિપક્ષને બદનામ કરવાની…. શરૂઆતમાં ભાજપાની સરકારો અને પક્ષ સફળ રહ્યા. પરંતુ ધીરે ધીરે લોકો પણ સમજવા લાગ્યા કે સત્તા પર તો ભાજપ સરકાર છે અને લોકહિતની જવાબદારી તેની છે. એટલે ધીરે ધીરે વિપક્ષની સાથે લોકો પણ પ્રશ્ન ઉઠાવવા લાગ્યા અને વિપક્ષ સાથે જોડાવા લાગ્યા. લોકોના કેટલાક પ્રશ્ને અનેક રાજ્યોમાં વિરોધ થયો પરંતુ જ્યાં જ્યાં ભાજપ સરકાર હતી ત્યાં પ્રજાકિય આંદોલનો એનકેન પ્રકારે પોલીસ ફોર્સ દ્વારા કચડાવી દેવાનું શરૂ કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા. અને પ્રજામાં ડર સાથે ભાજપા વિરૂધ્ધ આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. જેને નેતાગણ આજે પણ સમજી શક્યા નથી….! કે પછી સત્તાના તોરમા આકાશે ઉડી રહ્યા છે…..!?
નોટ બંધી પછી દેશભરમા સામાન્ય લોકોની જે પરેશાની ઉભી થઈ છે તેને આજે પણ લોકો ભૂલ્યા નથી. ત્યારબાદ આવ્યો જીએસટી જેના આડેધડ અમલ કરવાને લઇને વેપારીઓ-ધંધાર્થીઓ ત્રાસી ગયા પરંતુ તેની અસર તો સામાન્ય પ્રજાને જ થઇ છે. બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. લોકોની ખરીદશક્તિ તળીયે પહોંચતા દેશભરના અનેક નાના-મોટા ઉદ્યોગો બંધ પડતા કે ઠપ્પ થઈ જતા ઉદ્યોગોએ તેમના કર્મચારીઓને છૂટા કરી દેતાં ચારેક કરોડ લોકોને નોકરી ગુમાવવી પડી છે. અને બેરોજગારી વધી ગઈ. પરિણામે ગ્રામ્ય સ્તરે અને નાના શહેરોમાં તેની ભારે અસર થઇ. અનેક કૃષિ ક્ષેત્રને લગતા નાનામોટા કારખાના, ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા. એટલે ગ્રામ્યસ્તરે બેરોજગારી વધતા માર્કેટમાં પૈસો આવતો બંધ થઈ ગયો. તો બીજી તરફ સરકારે તેને ધ્યાને ન લેતા માત્ર ને માત્ર વિવિધ મોટા ઉદ્યોગો- મોટા ધંધાર્થીઓનેજ લોન માફ કરવા સાથે વિવિધ આર્થિક સહાય આપી. પરંતુ તેના કોઇ જ પરિણામ સરકારને મળ્યા નથી. સરકાર કૃષિક્ષેત્રને સહાય કરવાથી દૂર રહી છે કે ધ્યાન જ આપ્યું નથી….! પરિણામે ગ્રામીણ રોજગારી ઊભી થાય જ નહીં પછી બજારમાં નાણાં ક્યાંથી આવે….? ભાજપાએ આ બાબત સમજવાની જરૂર છે. દેશની આર્થિક ગાડી પાટા પર ચડાવવા, ઉદ્યોગ ક્ષેત્રને ધમધમતુ કરવા, જીડીપી દર વધારવા, બેરોજગારી દૂર કરવા, જમીન સ્તરે કૃષિક્ષેત્રે તમામ પ્રકારના નાના ઉદ્યોગ ધંધા ક્ષેત્રે તમામ પ્રકારની આર્થિક સહાય કરવાની જરૂર છે. તેમજ મનરેગાને પણ વધુ નાણાં ફાળવવા ની જરૂર છે.અને ત્યારેજ ગામડા ધમધમતા થશે અને તોજ નાના-મોટા શહેરોમાં નાણાં ફરતા થશે તે નિશ્ચિત છે…. ત્યારે ભાજપ આ માટે વિચારે…. બાકી તો અજીત પવાર અને શરદ પવારની જેમ લોકો પણ આવનાર સમયમાં મામા બનાવીને જ રહેશે…..!?! તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે…..જે એક હકીકત છે…!!