મુંબઇ તા.૫
ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક મધુર ભંડારકરે પોતાની આગામી ફિલ્મ ઇન્દુ સરકારની રિલિઝ ડેટ મંગળવારે ઔપચારિક રીતે જાહેર કરી હતી.
સદ્ગત વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ અલાહાબાદ હાઇકોર્ટના પોતાની ચૂંટણી રદ કરતા આપેલા ચુકાદાના પગલે સત્તા ટકાવી રાખવા ૧૯૭૫ના જૂનની ૨૫મીએ દેશમાં લાદેલી કટોકટીના સમયની કથા આ ફિલ્મમાં મધુરે વણી લીધી હતી.
મધુરે ટ્વીટર પર મૂકેલા સંદેશમાં લખ્યું, ‘આઝાદી પછી દેશના ઇતિહાસમાં લખાયેલા એક મહત્ત્વના પ્રકરણ આંતરિક કટોકટી સાથેની તમારી મુલાકાત જુલાઇની ૨૧મીએ થશે…ઇન્દુ સરકાર… મધુર ભંડારકર.’
આ ફિલ્મમાં એક જેની જીભ થોડી તોતડાય છે એવી એક કવયિત્રી કટોકટી સામે બંડ પોકારે છે એની કથા વણી લેવામાં આવી છે. આ કવયિત્રીનો રોલ કૃતિ કુલ્હારીએ ભજવ્યો છે. એના ઉપરાંત ફિલ્મમાં નીલ નીતિન મૂકેશ અને બંગાળી અભિનેતા તોતા રૉય ચૌધરી પણ ચમકી રહ્યા છે.
આ ફિલ્મ રાજકીય વર્તુળોમાં ચકચાર જગાડે એવી પણ શક્યતા છે. વીતેલા દાયકાઓમાં કટોકટી વિશે કિસ્સા કૂર્સી કા જેવી કેટલીક ફિલ્મો બની હતી ખરી. પરંતુ એને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો.