(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.4
2020માં ભાજપ ગુજરાતમાં સત્તાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણી કરશે. 1995માં ભાજપે સૌ પ્રથમવાર ગરવી ગુજરાતમાં એકલે હાથે સત્તા મેળવી હતી. કેશુભાઇ પટેલને રંગેચંગે ભાજપના પ્રથમ સીએમ બનવાની તક મળી અને હતુ તો સરકારમાં ઠરીઠામ થાય તે પહેલા ખજૂરાહો કાંડનો સામનો કરવો પડ્યો ભાજપની નેતાગીરીને. ત્યારથી લઇને અત્યાર સુધી ગુજરાતમાં ન.મો.ને બાદ કરતાં કોઇ સીએમએ પાંચ વર્ષ પૂરા કર્યા નથી.
કેશુભાઇ પ્રથમ રાઉન્ડમાં 6 મહિનામાં ભૂ.પૂ. થયા, બીજા રાઉન્ડમાં 3 વર્ષમાં ઘરભેગા. આનંદીબેન પટેલ બે વર્ષમાં ભોપાલ રવાના. નીતિન પટેલને વરઘોડા પરથી નીચે ઉતારીને વિજય રૂપાણી ચઢી બેઠા. તેનો રંજ હજુ પાટીદાર ભાયડાના મનમાં હશે જ. 20117માં ફરી રૂપાણી સીએમ. બે વર્ષ થયા પણ પડુ…પડુ….થાય છે. નિરાંત નથી રૂપાણીને અને નિરાંત નથી ગુજરાતને. 24 વર્ષમાં ભાજપ સરકારમાં ગુજરાતને શું મળ્યું….?
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ લખાય છે ત્યારે સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપોને લઇને ઉમેદવારો આંદોલન કરી રહ્યાં છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી એક પણ ભરતીમાં ગેરરીતિના આરોપો ન થયા હોય તેવું બન્યું નથી. પણ સરકારના પેટનું પાણી તો શું કશું જ હાલતું નથી. યુવાનો માટે બેકારી ભથ્થુ આપવાનું તો દૂર રહ્યું નોકરીની ભરતીમાં કોઇ ગરબડની આશંકા હોય તો તેની રજૂઆતો માટે ગાંધીનગર આવે તો પોલીસની લાઠીઓ ખાવાની….?
ઉમેદવારો જાણે કે સરકાર પડાવી લેવા આવ્યાં હોય તેવો વર્તાવ ભાવિ કારકૂનો-ભાવિ પોલીસ રક્ષકો સાથે કરીને રૂપાણી સરકારે મેસેજ આપ્યો-હમ તો ઐસે હી હૈ…..હમ નહીં સુધરેંગે…..વોટ તો તમારો મળવાનો જ છે….કુછ ભી કરો, કિતના ભી આંદોલન કરો…આયેગા તો મોદી હી….? સરકારની આવી જ્વલનશીલ માનસિક્તા બેરોજગારીનો સામનો કરી રહેલા લાખો બેકાર યુવાનોના ઘા પર મીઠુ ભભરાવવા સમાન છે. આ આંદોલનકારી યુવાનો ગાંધીનગર નહીં આવે રજૂઆત કરવા તો શું હોનોલુલુ જશે ભાજપ સરકારને મળવા….? સીએમ રૂપાણી ભૂલી ગયા કે કોંગ્રેસના રાજમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોના ધાડેધાડા યુવાનોને લઇને ગાંધીનગર જ આવતા હતા, રાજકોટ નહીં….!
થોડાક સમય પહેલા લોકરક્ષક દળની ભરતી માટે ઉમેદવારો હજુ તો પરીક્ષા ખંડમાં બેઠા કે તરત જ રૂપાણી સરકારની જાહેરાત- પેપર ફૂટી ગયુ છે, પરીક્ષા રદ. હવે પછી લેવાશે…!
કારકૂનની પરીક્ષા હોય કે પોલીસ દળની.મંડળના ભાજપી ચેરમેન આસિત વોરા સામે આરોપોનો મારો. તે અગાઉ શું થયું હતું આનંદીબેન પટેલના રાજમાં…..? પાટીદારોને મારો….! પોલીસ ગોળીબારમાં 14 પાટીદારો માર્યા ગયા. બેનને પરાણે ભોપાલ મોકલીને કહ્યાંગરા કંથ વીરૂને બેસાડ્યા.
સ્થિતિ બદલાઇ નથી. રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચારનો કલાસિક દાખલો. ગુજરાત જમીન વિકાસ નિગમ. સરકારી નિગમમાં સરકારની એસીબીએ દરોડો પાડ્યો. 56 લાખ રોકડા પકડાયા. ભાજપ જેને પોતાની સરકાર ખેડૂતો માટેની હોવાની વારંવાર દુહાઇ આપે છે તે ખેડૂતો પાસેથી આ નિગમના એમડી અને અન્ય અધિકારીઓ દ્વારા ખુલેઆમ કટકી લેવાતી હતી. 56 લાખ એમડી કે.એસ.દેત્રોજાના ટેબલના ખાનામાંથી મળી આવ્યાં…! આ નિગમમાં એટલો વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવ્યો કે રૂપાણી સરકારે આખેઆખુ આ નિગમ જ બંધ કરી નાંખ્યું….!
આવું થાય ખરૂ….? થાય ને.લાઇફબોય હૈ જહાં તંદુરસ્તી હૈ વહાં….ની જેમ વીરૂબોય હોય જહાં જબરજસ્તી હૈ વહાં… કેમ કે આ નિગમને પરાણે બંધ કરવાની ફરજ પડી રૂપાણી સરકારને. કારણ…? ન જાણે કેટલાયને બચાવ્યાં કે બચી ગયા આ ખેત તલાવડી કટકી કાંડમાં.
મહેસુલ વિભાગ અને પોલીસ-ગૃહ વિભાગ સામે ભ્રષ્ટાચારના કેસો તકેદારી આયોગના દરેક અહેવાલમાં જોવા મળે છે. રૂપાણીસાહેબ, ચાલો આપણે આ વિભાગોને પણ બંધ કરીએ તો….? કેમ કે જો એક નિગમને ભ્રષ્ટાચારને કારણે તાળા લાગતા હોય તો મહેસુલ, પોલીસને કેમ નહીં…?
ચાલો માનીએ કે પોલીસ અનિવાર્ય છે. પણ પોલીસની કામગીરી કેવી…? અમરેલીના કરોડો રૂપિયાના બિટકોઇન કાંડમાં અમરેલી એલએસબીના સામાન્ય કોન્ટસ્ટેબલથી લઇને ડીએસપી સુધી આખી લાઇન…સામે કેસ નોંધાયો….! ક્રાઇમ બ્યૂરોના આંકડા બોલે છે કે ગુજરાતમાં સૌથી વધુ પોલીસ કર્મીઓ વિવિધ ગુનામાં સંડોવાયેલા માલુમ પડ્યા છે. બિટકોઇન કાંડ હોય કે આંગડિયા લૂંટના ગુનામાં પોલીસ કર્મીઓ પકડાયા છે રીઢા ગુનેગારોની જેમ.
ગુજરાતમાં કાયદાના રખેવાળ પોલીસની આવી બદલાયેલી માનસિક્તા માટે કોણ જવાબદાર…? રૂપાણીજી, તેનું સંશોધન કરાવો. છેડો ગાંધીનગર સુધી પહોંચી શકે…? નશાબંધીના અમલમાં પોલીસને કામગીરીના “વખાણ” તો અશોક ગેહલોતે કર્યા જ છે.
ખેડૂતોમાં અસંતોષ. 24-24 વર્ષથી એક જ પક્ષની સરકાર છતાં ખેડૂતોની સમસ્યાઓ ઠેરની ઠેર…? પાક વીમા માટે ખેડૂતોએ દર વખતે આંસુ સારવાના….? કરોડો રૂપિયાની મગફળી ગોડાઉનોમાં સળગી જાય. રૂપાણી સરકારે ગુજરાતના લોકોના કરવેરામાંથી તિજોરીમાં પડેલા કરોડો રૂપિયાના ખર્ચે મગફળી ખરીદી અને સળગી ગઇ. લ્યો. કોઇને સજા નહીં. લોકોના હજાર કરોડ રૂપિયા ગયા મગફળીના ગોડાઉનમાં. કોઇ પૂછનાર નહીં કોઇ કહેનાર નહીં. માહિતી માંગો તો દેશદ્રોહીનો ગુનો….?
દલિતોને એમ હતું કે ઉના અત્યાચાર કાંડ પછી ભાજપ સરકાર તેમની ચિંતા કરશે. થયું શું….? એ ય…દલિત થઇને મૂછો રાખે છે…..એ ય…દલિત થઇને ઘોડા પર બેસીને જાન કાઢે છે….? એ ય…તું ચોરી કરવા ઘૂસ્યો છે લે લેતો જા. પટ્ટે પટ્ટેથી મારી નાંખ્યો દલિતને. દલિતોને 24 વર્ષમાં ન્યાય મળ્યો હોય તો એ માટે જિગ્નેશ મેવાણીને પૂછવુ પડે…..?
શિક્ષણ વિભાગમાં તો ભઇ પૂછવુ જ શું….? ડીપીએસ-ઇસ્ટ સ્કૂલનો દાખલો લો. સેક્સના અધમ ગુનામાં સંડોવાયેલા વાત્સાયનપુત્ર નિત્યાનંદ ભાજપ શાસિત કહો કે રૂપાણી સરકારમાં મસ્ત મસ્ત થઇને અમદાવાદના પૂર્વ છેડે આધુનિક આશ્રમ સ્થાપે છે ડીપીએસ સાથે મળીને. જે સ્કૂલમાં પ્રવેશ માટે લાખો રૂપિયાના ડોનેશનના આરોપો થતાં હોય તે ડીપીએસ સ્કૂલે જાણે કે કોઇ પૂછનાર નહીં….સરકારનો કોઇ ડર નહીં અથવા તો ભાજપ સરકાર તો મારા ખિસ્સામાં છે., એમ માનીને નકલી દસ્તાવેજો બનાવીને સ્કૂલ ચલાવી. સીબીએસઇ બોર્ડમાં પણ નકલી કાગળિયા પધરાવ્યાં. ગુજરાત સરકારમાં પણ નકલી કાગળિયા. કોઇએ તપાસ જ ના કરી. પણ નિત્યાનંદ આશ્રમમાં ગરબડો થઇ અને મામલો વાલીઓ સુધી પહોંચ્યો ત્યારે ભોપાળુ બહાર આવ્યું પેલા જમીન વિકાસ નિગમ જેવું. બધે પોલમપોલ. ડીપીએસની પોલ ખુલી અને ડીપીએસના મંજૂલા શ્રોફ ગાયબ. હેરાન કોણ થઇ રહ્યાં છે…? આ સ્કૂલમાં પ્રવેશ લેનાર પાંચ વર્ષની ભૂલકાથી લઇને સેંકડો બાળકો.
સરકાર મૌન. ડીપીએસ સ્કૂલની માન્યતા રદ. આ બાળકો ક્યાં જાય…? મધ્યમ વર્ગના વાલીઓ પરેશાન. રાતોરાત બીજી શાળામાં કોણ પ્રવેશ આપે. પાંચ વર્ષના ભૂલકાઓએ વાલીઓ સાથે ડીપીએસ સ્કૂલની બહાર કડકડતી ઠંડીમાં આખી રાત ધરણાં કર્યા. સ્કૂલની બહાર જ સૂઇ ગયા. માંગણી એટલી જ કે સ્કૂલની માન્યતા ચાલુ રાખે.
સરકાર દાઉદની મિલકતો જપ્ત કરી શકે છે તો વિદ્યાર્થીઓના હિતમાં ડીપીએસ-ઇસ્ટનો હવાલો સરકાર પોતે ના સંભાળી શકે….? મંજૂલાને દૂર કરીને ડીઇઓને સ્કૂલનો હવાલો સોંપી દે. શિક્ષકો તો છે જ સ્કૂલમાં. માત્ર સંચાલન જ કરવાનું છે. પોતાની કેન્દ્ર સરકારને કહીને આ સ્કૂલનું સીબીએસઇનું જોડાણ ચાલુ રખાવે. ભણતર ચાલુ રાખે તો કેટલાય ભૂલકાઓનું એક વર્ષ બચી શકે. સરકાર ધારે તો અને ધારવુ જ પડે, આ બાળકોના હિતમાં રૂપાણી સરકારે પાણી બતાવવું જ પડે.
ગાંધીનગરમાં આંદોલનોની મોસમ. રૂપાણી સરકારમાં પાંચ વર્ષથી લઇને 25 વર્ષના યુવાનને પોતાના ભલા માટે આંદોલન કરવા પડે, સ્કૂલની બહાર ઠંડીમાં આખી રાત ધરણાં કરવા પડે. તેનાથી વધારે ખરાબ સ્થિતિ બીજી કઇ હોઇ શકે શ્રીમાન, રૂપાણીજી….? સંવેદનશીલ સરકાર માત્ર કાગળ ઉપર ના ચાલે. સમાજ અને લોકોના હિતમાં સંવેદના બતાવવી પડે. સરકારને શરમ આવવી જોઇએ કે જેમણે સત્તા સોંપી એ લોકાના પાંચ વર્ષના ભૂલકાઓને પોતાના જીવન માટે કડકડતી ઠંડીમાં સ્કૂલની બહાર ધરણાં કરવા પડે અને સીએમ સહિતના સૌ કોઇ આરામથી પ્રજાના પૈસે બંધાયેલા આલિશાન બંગલામાં હીટર ચાલુ રાખીને પોઢી રહ્યાં હતા….! આવી સંવેદનશીલ સરકાર…..? ડીપીએસ સ્કૂલ એક મોટુ કૌભાંડ બની રહ્યું છે. અને સરકાર…? મારૂ શું….? કાંઇ નહીં. તો મારે શું….? એવા કોઇ ખ્યાલમાં તો નથી ને….?