Home દેશ બ્રેકિંગ ન્યુઝ : આરટીઆઇ દ્વારા થયો ખુલાસો: બુલેટ ટ્રેન માટે ભારત-જાપાન વચ્ચે...

બ્રેકિંગ ન્યુઝ : આરટીઆઇ દ્વારા થયો ખુલાસો: બુલેટ ટ્રેન માટે ભારત-જાપાન વચ્ચે સપ્ટેમ્બરમાં કોઇ કરાર થયો નથી!

2177
0

અમદાવાદ
તાજેતરમાં તા. ૩૦ ઓગષ્ટ, ૨૦૧૭ના રોજ ભારત અને જાપાનના પ્રધાનમંત્રી અનુક્રમે નરેન્દ્ર મોદી અને શિંજો એબે દ્વારા અમદાવાદ ખાતે બુલેટ ટ્રેનના ખાત મૂહુર્ત નિમિત્તે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી સમગ્ર દેશ અને વિદેશોમાં બુલેટ ટ્રેન વિશે જોરશોરથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ તાજેતરમાં એક આરટીઆઇ દ્વારા બુલેટ ટ્રેનને લઇને એક મોટો ખુલાસો થયો છે કે જેનાથી સહુ ચોંકી ઉઠ્યા છે. આરટીઆઇમાં જાપાનના પ્રધાનમંત્રી શિંજો એબેની અમદાવાદ ખાતેની મુલાકાત ટાણે બુલેટ ટ્રેનના કરાર વિશે પૃચ્છા કરવામાં આવતાં તેના જવાબમાં ભારત સરકાર વતી વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેનને લઇને ભારતના પ્રધાનમંત્રી અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે કોઇ જ પ્રકારના એમઓયુ પર કોઇ જ હસ્તાક્ષર થયા નથી.
ગાંધીનગર સ્થિત ગુજરાતી ન્યુઝ સર્વિસ (જીએનએસ) એજન્સીને એક આરટીઆઇ મારફતે પાકી માહિતી મળી છે કે અમદાવાદ અને મુંબઇ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનને લઇને જાપાન અને ભારત વચ્ચે કોઇ જ પ્રકારના કરાર કે એમઓયુ પર હસ્તાક્ષર થયેલ નથી.
વિગતવાર ઘટનાક્રમ આપને જણાવીએ તો ગુજરાતના જુનાગઢના રહેવાસી અતુલ જી. શેખડાએ આરટીઆઇ અધિનિયમ અંતર્ગત આ માહિતી વિદેશ મંત્રાલય પાસેથી માંગી હતી. જે અત્રે સમગ્ર દેશના સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ચૂકી છે. આ આરટીઆઇ ના મળેલા જવાબમાં માત્ર એક જ લાઇનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે ભારતીય પ્રધાનમંત્રી અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે બુલેટ ટ્રેન પર કોઇ જ પ્રકારના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે જો આવું કંઇ બન્યું જ ન હોય તો એમ કેમ કહેવામાં આવ્યું છે કે જાપાન અને ભારત વચ્ચે ખૂબ જ ઓછી કિંમતે બુલેટ ટ્રેન પરિયોજના પર એક પરસ્પર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ અગાઉ તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને જાપાનના પ્રધાનમંત્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત અને જાપાન વચ્ચે થયેલી સમજૂતી અનુસાર અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાન સંપૂર્ણ ટેકનિકલ સહયોગ પ્રદાન કરશે. પ્રોજેક્ટ તૈયાર કર્યા પછી ભારતના અન્ય પ્રાંતોમાં ઉપયોગમાં લેવા માટે પણ જાપાન પુરી મદદ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાઇ સ્પીડ રેલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ વડોદરા ખાતે થઇ રહ્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં બુલેટ ટ્રેનના ઓપરેશન્સ અને મેન્ટેનન્સ માટે ૪૦૦૦ લોકોને તાલીમ આપવામાં આવશે.
એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તા. ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધી પૂર્ણ કરવામાં આવશે. બુલેટ ટ્રેન ચલાવવા માટે કુલ કિંમત રૂ. ૧૦,૮૦૦૦ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. એવું જણાવવામાં આવ્યું હતું કે આ પરિયોજનામાં જાપાન અગાઉથી જ ભારતને ઋણ પેટે રૂ. ૮૮ (ઇઠ્ઠ્યાસી) હજાર કરોડ આપવાની સહમતિ દર્શાવી ચૂક્યું છે. પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેનના ઉદઘાટનના અવસરે જણાવ્યું હતું કે જાપાન તરફથી ભારતને મળનારા ઋણને ભારત ૫૦ વર્ષની અંદર-અંદર ચૂકવશે. મોદીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે આપવામાં આવેલા ઋણ પર ભારત જાપાનને માત્ર ૦.૧ ટકાના વ્યાજ દરે ઋણ આપવામાં આવ્યું છે જેને ભારત ૫૦ વર્ષમાં ચૂકવશે.
જે લગભગ રૂ. ૯૦૫૦૦ કરોડ જેટલું થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને મુંબઇ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન જમીન, સુરંગ અને સમુદ્ર એમ ત્રણેય માર્ગે થઇને પસાર થશે. હવે આરટીઆઇ અંતર્ગત જે નવો ખુલાસો થવા પામ્યો છે તે અંતર્ગત કોઇ જ પ્રકારના એમઓયુ પર જાપાન અને ભારત વચ્ચે હસ્તાક્ષર જ થયા નથી તો દેશને એમ કેમ જણાવવામાં આવ્યું કે જાપાન અને ભારત વચ્ચે બુલેટ ટ્રેન માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા?
જ્યારે આ બાબતે રેલ મંત્રાલયના પ્રવક્તા અનિલ સક્સેનાને પુછવામાં આવ્યું તો તેમણે અમારી પાસેથી આ આરટીઆઇની નકલ માંગી અને જણાવ્યું કે અમે બુલેટ ટ્રેન વિભાગના લોકોને આની નકલ મોકલાવી દીધી છે. રેલ મંત્રાલયના પ્રવક્તા અનિલ કુમાર સક્સેના પાસે આ આરટીઆઇના જવાબ આપવાના કોઇ શબ્દો ન હતા. અલબત્ત હવે રેલ મંત્રાલય તરફથી આ બાબતના સ્પષ્ટીકરણની જનતાએ હજુ પણ રાહ જોવી રહી.

Previous articleજીએનએસ ઇમ્પેક્ટ ઃ અંતે માહિતી ખાતાએ ભૂલ સુધારી એક્રેડિટેશન રિન્યુઅલના નવા ફોર્મ ઇસ્યુ કર્યા….
Next articleબાપુના વિઝન-2012ને વાઇબ્રન્ટ ગુજરાત બનાવી છવાયા મોદી …