Home દેશ ન્યુઝ પ્રિન્ટ પર ૫% જીએસટી પ્રિન્ટ મીડિયાના એન્કાઉન્ટર સમાન

ન્યુઝ પ્રિન્ટ પર ૫% જીએસટી પ્રિન્ટ મીડિયાના એન્કાઉન્ટર સમાન

741
0

(જી.એન.એસ, આકાશ શ્રીવાસ્તવ) ન્યુ દિલ્હી, તા.14
હાલમાં લઘુ અને મધ્ય્મ સમાચારોની કમર જીએસટીના માધ્યમથી તૂટી છે. જ્યારથી સરકારે ન્યુઝ પ્રિન્ટ પર વધારાનો ૫ ટકા કર લગાવ્યો, ત્યારથી દેશનો લઘુ અને મધ્યમ સમાચાર ઉદ્યોગ બરબાદીને આરે પહોંચ્યો છે. જે સમાચારપત્રોનું સર્ક્યુલેશન ૨૫થી ૩૦ હજારની વચ્ચે છે, તેમના માટે સમાચાર ઉદ્યોગમાં ટકી રહેવું મુશ્કેલીભર્યું બની ગયું છે. જીએસટી લાગુ થતા પહેલાં અખબારના કાગળ કે જેને ન્યુઝ પ્રિન્ટના નામથી ઓળખવામાં આવે છે, તેના પર કોઇ કર લાગતો ન હતો. તે સમયે રાજ્યો અને કેન્દ્ર સરકાર તરફથી મળનારી વાર્ષિક રૂપિયા ૪-૮ લાખની જાહેરાતો સમાચાર પ્રકાશકો માટે આશીર્વાદ સમાન હતું.
દરમિયાનમાં છેલ્લા બે વર્ષોથી રાજ્યો અને કેન્દ્ર સરકાર તરફથી મળનારી જાહેરાતોમાં સરકાર દ્વારા અચાનક જ કાપ મૂકવાને કારણે મળનારી જાહેરાતોની આવક ઘટીને આશરે ૫ લાખ થઇ ગઇ છે. અનેક સમાચારપત્રો માટે સરકારી જાહેરાતો ઇદના ચાંદ જેવી બની ચૂકી છે. તેને કારણે પ્રકાશકોને સમાચારપત્રો પ્રકાશિત કરવામાં ભારે મુશ્કેલી આવી રહી છે. અનેક અખબારો બંધ થવાને આરે પહોંચી ચૂક્યા છે. હવે સરકારે તેના પર જીએસટીનું પાટુ મારી દીધું. જેને કારણે લઘુ અને મધ્યમ સમાચારપત્રો કે જેને સરકારી જાહેરાતો મળતી નથી, ઉપરથી તેમને વાર્ષિક આશરે રૂ. ૧૧ લાખ સુધીનો કર જીએસટી સ્વરૂપે સરકારને આપવો પડી રહ્યો છે.
સરકારી મળનારી જાહેરાતોમાં રૂ. ૫ લાખની ભારે કપાત અને ઉપરથી રૂ. ૧૧ લાખની જીએસટીની વસૂલીને કારણે જે આંકડાઓ દર્શાવે છે તે મુજબ દેશભરમાં લગભગ અઢી હજારથી વધુ અખબારો બંધ થઇ ચૂક્યા છે. હાલત માત્ર અહીં સુધી જ ખરાબ નથી, પરંતુ એક માહિતી મુજબ ૪-૫ હજાર લઘુ અને મધ્યમ અખબારના પ્રકાશકો જીએસટીને કારણે પોતાના સમાચારપત્રો બંધ કરવાની તૈયારીમાં છે. જ્યારે ટીવી અને ડિજીટલના આ યુગમાં પણ દેશના જિલ્લાઓથી પ્રકાશિત થતા સમાચારપત્રો ગામડાઓમાં વાંચવામાં આવે છે. સરકારના આ નિર્ણયને કારણે હવે તે બંધ થવાને આરે છે.
લઘુ અને મધ્યમ સમાચારપત્રોના પ્રકાશકો સરકાર પાસેથી હજુ પણ આશા રાખીને બેઠા છે કે ન્યુઝ પ્રિન્ટ પર લાગેલો ૫ ટકા જીએસટી કોઇપણ સંજોગોમાં હટાવે, જેથી કરીને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાઇ જવાથી બચી શકે. પ્રકાશક સરકાર પાસેથી તેમના હિતમાં નિર્ણય લે તેવી આશા સેવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં આ મુદ્દે મીડિયા જૂથના અમુક પ્રતિનિધિઓએ કેન્દ્રીય ગૃહમંત્રીને મળીને ન્યુઝ પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી હટાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી હતી. રાજનાથ સિંહે આ બાબતે મીડિયા પ્રતિનિધિઓને સકારાત્મક જવાબ પાઠવ્યો હતો. પરંતુ હજુ સુધી કંઇ જ થવા પામ્યું નથી. રાજનાથની સાથે મીડિયા કર્મચારીઓ સાથે થયેલી મુલાકાત માત્ર ઔપચારિક્તા જ સાબિત થઇ છે.

Previous articleએસ્સારે 830 કરોડનાં રોકાણ સાથે 24 એમટીપીએની ક્ષમતા વાળા ભારતનાં સૌથી મોટાં સંકુલનું નિર્માણ કર્યું
Next articleમહેન્દ્રસિંહનો ખેલ પાડી ભાજપે વસંત વગડે સુતેલા “સિંહ”ને છંછેડ્યો..?