(જી.એન.એસ) તા. 5
ભુવનેશ્વર,
નગીનાથી લોકસભા સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ આ હુમલાને અંજામ આપ્યો છે.
આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, એક જાહેર સભાના કાર્યક્રમ સ્થળ પર લગભગ 250 લોકોની ભીડે પથ્થરમારો કર્યો હતો અને પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો. આ દરમિયાન ડઝનબંધ વાહનોને પણ નુકસાન થયું છે. ચંદ્રશેખર આઝાદે ખુદ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પર આ હુમલાની માહિતી આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ હુમલો સંગઠિત રીતે કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ લોકશાહી અને સામાજિક ન્યાયના અવાજને કચડી નાખવાનો હતો.
ચંદ્રશેખર આઝાદ દ્વારા આ હુમલાની ઘટના માટે સંઘ પરિવારને જવાબદાર ઠેરવ્યો અને કહ્યું કે ‘આવા સંગઠનોને સરકારનું ખુલ્લું રક્ષણ પ્રાપ્ત છે.’ તેમણે હુમલાના ગુનેગારોની ધરપકડ કરવા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ‘આ હુમલો બહુજન આંદોલન, દલિત-પછાત સમાજ અને બંધારણીય અધિકારો માટે ઉઠાવવામાં આવેલા દરેક અવાજને દબાવવાનો પ્રયાસ છે.’
વધુમાં ચંદ્રશેખરે કહ્યું કે, ‘અમે આવી ઘટનાઓથી ડરીશુ નહીં અને લોકશાહીના રક્ષણ માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે.’ તેમણે ભુવનેશ્વરમાં ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી અને ઓડિશામાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરવાનો સંકલ્પ લીધો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.