(જી.એન.એસ),તા.૨૧
નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર વરિષ્ઠ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામેની આઈપીએલ મેચ અગાઉ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા અંગે મહત્વનો ખુલાસો કર્યો હતો. ધોનીએ જણાવ્યું કે તે આગામી વર્ષે પણ આઈપીએલમાં રમશે. કારણ કે ચેન્નાઈનો આભાર માન્યા વગર ક્રિકેટ રમવાનું બંધ કરવાનું હું વિચારી પણ શકતો નથી.
ઉલ્લેખનીય છે કે ધોની આઈપીએલના પ્રારંભથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છોડાયેલો છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ટોસ વખતે ધોનીએ તેના સંન્યાસ લેવા અંગે ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી. ધોનીએ જણાવ્યું કે જો હું ચેન્નાઈમાં નહીં રમું તો સીએસકેના ફેન્સને માઠું લાગશે. જો કે 2023ની આઈપીએલ મારા માટે અંતિમ હશે કે કેમ તે જોવું રહેશે. ઉલ્લેખનીય છે કે એમ એસ ધોની અને સીએસકેના કરોડો ફેન ફોલોઅર્સ છે. તમિલનાડુના કુડાલોરમાં એક વ્યક્તિએ પોતાનું ઘર પીળા રંગથી રંગાવ્યું હતું અને તેમાં ધોનીના પેઈન્ટિંગ્સનો પણ સમાવેશ કર્યો હતો. આ તસવીર પણ ઘણી વાઈરલ થઈ હતી. આઈપીએલમાં આ વર્ષે સીએસકેનો દેખાવ કંગાળ રહ્યો હતો અને તે અંતિમ લિગ મેચમાં પણ રાજસ્થાન રોયલ્સ સામે પાંચ વિકેટે હારતા પોઈન્ટ ટેબલમાં આઠ અંક સાથે નવમાં ક્રમે રહ્યું હતું.