Home ગુજરાત કહેવાતી સંવેદનશીલ સરકારના મુખીયા પાસે પત્રકારોની સુરક્ષા મુદ્દે મળવાનો પણ સમય નથી…..!!?

કહેવાતી સંવેદનશીલ સરકારના મુખીયા પાસે પત્રકારોની સુરક્ષા મુદ્દે મળવાનો પણ સમય નથી…..!!?

713
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.17
સુરક્ષિત અને સલામત ગુજરાતના બણગા ફૂંકનાર ગુજરાત સરકાર ના રાજ માં ચોથી જાગીર સમાન પ્રેસ અને પત્રકારો સલામત નથી. અમદાવાદમાં ટીવી9 ના એક પત્રકાર ચિરાગ પટેલ ની હત્યા કે આત્મહત્યા એ હજુ પોલીસ એક મહિના પછી પણ નક્કી કરી શકી નથી.આ બનાવ અને પત્રકારોની સમસ્યાઓની રજૂઆત માટે ગતિશીલ અને પરિણામલક્ષી સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાની ને મળવા માટે પત્રકારો દ્વારા અનેક પ્રયાસો છતાં ગુજરાતના નાથ પાસે પોતાના નાગરિકોના પ્રશ્નો રૂબરૂ સાંભળવાની પણ ફુરસદ નથી. ચૂંટણી ના સમયે મુખ્યમંત્રી પ્રચાર માં હોય તે સ્વાભાવિક છે તેથી પત્રકારોએ આખા ગુજરાતમાં મુખ્યમંત્રી કહે ત્યાં રજૂઆત કરવા આવવાની તૈયારી પણ પત્રકાર સંગઠન દ્વારા બતાવવામાં આવી છતાં સમય ફાળવાતો નથી. જો લોકશાહી માં ચોથા જાગીર સમાન પ્રેસ અને મીડિયાની આ હાલત હોય તો કોમન મેને મુખ્યમંત્રી ને મળવા માટે કેટલો તપ કરવો પડે તે પણ એક સવાલ છે. પ્રેસ અને મીડિયા સરકારને નાં ગમે પણ જ્યારે કંઇક કહેવાનું હોય ત્યારે રૂપાની એ આ જ પ્રેસ પર આધાર રાખવો પડે છે મુખ્યમંત્રી ની એ પ્રેસમાં કાંઈ હોનોલુલુ થી પ્રેસ આવતી નથી પણ અમદાવાદ અને રાજકોટ સહિત જિલ્લે જિલ્લે નેટવર્ક ધરાવનાર નાના પત્રકારો પર જ આધાર રાખવો પડે છે.
ખરી મઝાક હવે શરુ થઈ. અમે જેને એક સરળ ઔપચારિક કામ માનતા હતા, તે અઘરું નીકળ્યું. વારંવારના પ્રયત્નો છતાં, મુખ્યંત્રી/એમની ઓફીસ તરફથી મળવાનો સમય નાં મળ્યો. મુખ્યમંત્રી પ્રચારમાં બહાર સૌરાષ્ટ્રમાં હોય, તો ૧૫મીએ રાજકોટના અમારી સમિતિના એક બીજા પ્રતિનિધીએ એમને મળીને આવેદન પત્ર આપવા માટેનો સંદેશો મોકલ્યો. એ પણ બહેરા કાને અથડાઈને પાછો આવ્યો. ગુજરાતની સંવેદનશીલ કહેવાતી અથવા કહેવાતી સંવેદનશીલ સરકારના મુખીયાએ મળવાની તો ઠીક, આટ આટલા સંદેશા બાદ ફોન પર વાત કરવાનું સૌજન્ય પણ ન દાખવ્યું.
મુખ્યમંત્રી સવારે ઉઠી, કુદરતી ક્રિયાઓમાં સમય ફાળવે છે. ચુટણીલક્ષી મીટીંગો કરે છે. પ્રચાર દરમ્યાન નેતાઓથી માંડીને પ્રબુદ્ધ નાગરિકો અને આલતુ ફાલતુ લોકોને પણ મળે છે. ચુંટણી પ્રચારની સભોમાં લાંબા લાંબા ભાષાણો આપે છે. દરેક ચેનલોને ઈન્ટરવ્યુ આપે છે. ટીવી પત્રકારોને બાઈટ પણ આપે છે. વિસાવદર જેવી દૂરની જગ્યા સુધી જઈ, સભામાં દોઢ હજારને બદલે દોઢસો લોકો જોઈ, સભા કર્યા વગર પાછા આવે છે. આ બધા માટે મુખ્યમંત્રી પાસે સમય છે, પણ એમના રાજ્યના એક પત્રકારની મોત માટે બીજા પત્રકારો સાથે વાત કરવાનો એક મીનીટનો સમય મુખ્યમંત્રી પાસે નથી.
અમદાવાદમાં તાજેતરમાં પત્રકારોની એક મીટીંગ મળી હતી જેમાં ચિરાગ પટેલ ની હત્યા( પોલીસ પુરવાર ના કરે ત્યાં સુધી હત્યા ) ના બનાવથી લઈને મીડિયાને પોતાની રોજબરોજ ની ફરજ દરમિયાન પડતી મુશ્કેલીઓ , રાજકીય નેતાઓ,પોલીસ વગેરે દ્વારા ઉભી કરતી અડચણો ની ચર્ચા કરીને આ અંગેની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે એક સંગઠન ની રચના કરવામાં આવી છે. આ સંગઠન ના અગ્રણીઓએ મુખ્યમંત્રી ને મળવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ સમય ફાળવાતો નથી. સંગઠને ગુજરાતના પત્રકારો અને તેમના પરિવાર ની સુરક્ષા અને સામાજિક કલ્યાણ માટે કેટલીક માંગણીઓ કરી છે. મુખ્યમંત્રી પાસે સમય ના હોય તો આ સમાચાર પ્રસિદ્ધ કરીને સરકારનું નમ્ર ધ્યાન દોરીએ છીએ અને મુખ્યમંત્રી પાંચ મીનીટનો સમય પ્રેસ મીડિયા માટે ફાળવે એવી પત્રકાર જગતની લાગણી છે. તેમની માંગણીઓ અને ચિરાગ પટેલ પ્રત્યે માનવીય અને તેમના પરિવાર ને ન્યાય અપાવવા લખાયેલ જાહેર પત્ર આ મુજબ છે.

ગુજરાત રાજ્ય પત્રકાર સંકલન સમિતિ
GUJARAT CO-ORDINATION COMMITTEE FOR JOURNALISTS
પત્રકારોની સુરક્ષા અંગે ગુજરાતના પત્રકારોનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર
૧૫ એપ્રિલ ૨૦૧૯

પ્રતિ
માન.શ્રી વિજયભાઈ રૂપાણી
આદરણીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય,
ગાંધીનગર
માનનીય શ્રી વિજયભાઈ,

કુશળ હશો.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પત્રકારો પર થઈ રહેલા હુમલાઓથી અમે સૌ પત્રકારો ચિંતિત છીએ. તાજેતરમાં પત્રકારો પરના હુમલાની ઘટનાઓ આપણા ધ્યાને આવી જ હશે અને આ આવેદનપત્ર મારફત અમો પણ આપના ધ્યાને આવી ગંભીર બાબતને મૂકીને તત્કાળ યોગ્ય પગલાં લેવાનો આગ્રહ કરીએ છીએ.રાજ્યમાં પત્રકારો પોતે જ અસુરક્ષિત હોય ત્યારે તેઓ મુક્ત રીતે પોતાની ફરજ બજાવવામાં કેવી મુશ્કેલી અનુભવે એ આપ સમજી શકો છો.
ગુજરાતમાં પત્રકારો પર વધતા જતા હુમલાઓ અને પત્રકારોને અપાતી ધમકીઓના વધેલા બનાવોને અમે અખબારી આઝાદી માટે જોખમી લેખીએ છીએ એટલે આવા કેટલાક બનાવો આપના ધ્યાને મૂકવાનું પસંદ કરીએ છીએ:
(૧) આવા બનાવોમાં સૌથી વધુ ગંભીર બનાવ ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મૃત્યુનો છે. તા.૧૬-૦૩-૨૦૧૯ના રોજ ચિરાગની લાશ સળગેલી હાલતમાં કઠવાડા વિસ્તારમાથી મળી હતી.. લગભગ એક મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં પોલીસ તપાસ તેના પરિવાર કે અમારા માટે સંતોષજનક નથી.
(૩) અમદાવાદના સરદારનગર ખાતે ફોટો જર્નાલિસ્ટ પ્રવિણ ઈન્દ્રેકર પર પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૮માં હુમલો કરાયો અને અત્યાચાર ગુજારાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે.
(૪) ૨૦૧૬માં જૂનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યા એમની કચેરીમાં જ કરવામાં આવી હતી.
(૫) અરવિંદ સોલંકી પર ટોળા દ્વારા હુમલો થયો હતો.
(૬) જામનગર લાલપુરના પત્રકાર સંજય જાની પર બૂટલેગરો દ્વારા હુમલો થયો હતો.
(૭) જૂનાગઢ તાલાલાના પત્રકાર સરદારસિંહ ઝાલા પર પણ હુમલો થયો હતો.
(૮) અજાણ્યા શખ્સો દ્વારાપ્રેસ ફોટોગ્રાફર કિમિલ શેખ પર હુમલો કરી તેનો કેમેરા તોડીને તેને માર મારવામાં આવ્યો હતો.
(૯) રાજકોટ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દ્વારા રહીમ લાખાણી પર હુમલો કરાયો હતો.
(૧૦) અકિલાના પત્રકાર સુનિલ મકવાણા પર હુમલો કરાયો હતો. તેમને માથામાં ઈજા કરી હતી.
(૧૧) વડોદરાના પત્રકાર રૂપેશ ચોકસી પર પોલીસ દ્વારા હુમલો કરાયો
(૧૨) દ્વારકામાં અશોક ભાટેલીયા અને તેના ઘર પર બે વખત હુમલા થયા હતા.
(૧૩) વર્ષ ૨૦૧૫માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા પત્રકારો પર ૮ હુમલા કરાયા હતા.
પત્રકારોની સલામતીની બાબતમાં સમૂહચિંતન કરવા માટે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બગીચામાં રાજ્યના પત્રકારોની એક વિશાળ બેઠક તા.૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ મળેલી બેઠકમમાં લેવાયેલા નિર્ણયો અને સૂચનો આ મુજબ છે.
(૧) પત્રકારોની સલામતીની બાબતમાં યોગ્ય પગલાં લેવા માટે ૧૬ સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી.
(૨) ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલની હત્યા માટે તત્કાળ પગલાં ભરવા સરકારને જણાવવું.
(૩) પત્રકારોને વિશ્વાસમાં લઇ પત્રકારોની સલામતી માટે “પત્રકાર સુરક્ષા કાયદો” બનાવવામાં સરકારશ્રી તાત્કાલિક ધોરણે સક્રિયતા દાખવે.
(૪) પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાડીને પોતાની ફરજ બજાવતા પત્રકારોને આતંકિત કરવા માટે કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાં રૂકાવટ, બનાવટી પોલીસના પત્રકારો સામે કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે.
(૫) ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે.
(૬) મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે.
(૭) જ્યારે પણ હુમલા થાય ત્યારે સંબંધિત પત્રકાર એકલા નથી, એવું ન લાગે તે માટે મદદ કરી શકે એવી કાયમી સમિતિ બનાવવી.
(૮) દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી. જે રાજ્ય કક્ષાની સંકલન સમિતિ સાથે રહી સ્થાનિક સત્તાધીશો સમક્ષ પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની માંગણી કરે, જેમાં સરકારી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓને લેખિતમાં માંગણી કરે જે ૧૬ સભ્યોની રાજ્ય સંકલન સમિતિને જાણ કરે.
(૯) રાજ્યભરના પત્રકારોની સલામતી માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા ગાંધીનગર ખાતે તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ સવારે ૮ વાગ્યે રાજ્યભરમાંથી પત્રકારોએ હાજરી આપવી.
(૧૦) દરેક જિલ્લાની પોલીસ એડવાઈઝરી કમિટીમાં એક પત્રકાર-પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે. તેમજ રાજ્ય કક્ષાએ પણ આવી સમિતિ બને અને એમાં પત્રકારોને પ્રતિનિધિત્વ મળે.
(૧૧) એક્રેડિટેડ અને નોન-એક્રેડિટેડ પત્રકારોને વીમા યોજનામાં સામેલ કરવામાં આવે અને વીમાની રકમ વધારીને રૂપિયા ૫ લાખ કરવામાં આવે.
(૧૨) સૌ પત્રકારોને “મા વાત્સલ્ય યોજના”નો લાભ મેળવવામાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરવામાં આવે.
રાજ્યના પત્રકારોની ઉપરોક્ત ભાવનાનો આદર કરીને આપ વ્યક્તિગત રસ લઈને યોગ્ય અને તાકીદની નક્કર કાર્યવાહી કરો એવી અપેક્ષા કરીએ છીએ. એ કામકાજમાં અને પત્રકારોના હિતમાં આપ જે પહેલ કરો એમાં અમો સહકાર આપવા તૈયાર છીએ.ગુજરાતમાં પત્રકારોમાં રહેલી અસલામતીની ભાવના દૂર કરવામાં આપણે સૌ કટિબદ્ધ બનીએ.

આભાર સહ.

લિ. અમો છીએ,
રાજ્યકક્ષાની પત્રકાર સંકલન સમિતિના સભ્યો,
ધીમંત પુરોહિત, હરિ દેસાઈ, દિલીપ પટેલ, પદ્મકાંત ત્રિવેદી, ભાર્ગવ પરીખ, ટીકેન્દ્ર રાવલ, દર્શના જમીનદાર, અભિજિત ભટ્ટ, ગૌરાંગ પંડયા, પ્રશાંત પટેલ, જીજ્ઞેશ કાલાવડિયા, નરેન્દ્ર જાદવ, યુનુસ ગાઝી, ચેતન પુરોહિત,
દીપેન પઢીયાર

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field