(જી.એન.એસ.,હર્ષદ કામદાર) તા.4
પોલીસની ભરતી માટે લેખિત પરીક્ષાનું પેપર ફોડીને ચાર મોરલા કળા કરી ગયા અને પરીક્ષા આપવા આવેલા અંદાજે 9 લાખ ઉમેદવારોને મુશ્કેલી પડી એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનો અને તેમના વાલીઓના ગુસ્સાને શાંત કરવા જાહેરાત કરી કે હવે પછી આ પરીક્ષા લેવાય ત્યારે જે તે ઉમેદવારો પાસેથી આવવા જવાનું ભાડુ નહીં લેવાય. જે દિવસે પરીક્ષા લેવાય તેના એક દિવસ પહેલા લગભગ મોટા ભાગના ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો જ્યાં આવેલા છે ત્યાં જવા માટે નિકળશે. કેમ કે નિયમ પ્રમાણે તેમના નંબરો 100થી 150 કિ.મી. દૂરના કેન્દ્રો પર ફાળવવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને સોશ્યલ મિડિયા પર ગણતરીબાજો એવી ગણતરી મૂકી રહ્યાં છે કે એસટી તંત્ર પાસે 7,647 જેટલી બસો છે. ધારો કે એક બસમાં વધુમાં વધુ અડીમૂડીને 75 ઉમેદવારો સમાય તો જેટલી બસો છે તેને 75થી ગુણીએ તો 5,73525 ઉમેદવારો બેઠા તો બાકીના બેથી સવા બે લાખ ઉમેદવારોનું શું..? તેઓ કઇ રીતે પહોંચશે.? પોલીસમાં ભરતીની પરીક્ષા અને તેમાં વળી સાવ મફતમાં આવવા-જવાનું એટલે ઉમેદવારો દેખીતી રીતે જ એસટી બસમાં જ જવાનો આગ્રહ રાખે તો 2 લાખ ઉમેદવારોને એસટી બસ તંત્ર ગામઠી ભાષામાં કહીએ તો કઇ રીતે પોગાડશે..!? કે ઉપર બેસાડશે..? રૂપાણી આ વાંચીને માથુ ખંજવાળે તો નવાઇ નહીં..શક્ય છે કે તેઓ આ અંગે દિલ્હીનું માર્ગદર્શન મેળવી શકે..!
ધારો કે પોલીસ ભરતી ની જ્યારે પણ ફરી લેખિત પરીક્ષા લેવાય અને તે વખતે એસટી ની તમામ બસો મુખ્યમંત્રી વિજય રૂપાણીની કડક સુચના ને પગલે ઉમેદવારો માટે ફાળવવામાં આવે તો જેઓ રોજે રોજ એસટી બસમાં મુસાફરી કરે છે તેવા રોજના પેસન્જર ક્યા જશે? જેમને કોઈ સામાજિક કારણોસર એ દિવસે બહારગામ જવાની ફરજ પડી તો તેમનું શું? એ દિવસે એસટી ના ડ્રાઈવર કે સ્ટાફની ઓચિંતી હડતાલ પડી ગઈ તો એ લાખો ઉમેદવારો નું ભાવિ નું શું થશે? એવા સવાલો પણ ખળખળ વહેતા પાણી ની જેમ વહેતા થઇ રહ્યા છે.