(GNS),05
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે ચુકાદો આપતાં તેને અમાન્ય જાહેર કર્યો છે. આ સાથે કોર્ટે ટ્રાયલ કોર્ટનો કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલી દીધો છે અને કહ્યું છે કે આ કેસમાં પીટીઆઈના વકીલની દલીલો સાંભળવામાં આવે અને તેના પર ફરી ર્વિચાર કરવામાં આવે. જિયો ટીવીના રિપોર્ટ અનુસાર એડિશનલ સેશન જજ હુમાયુ દિલાવરે 10 મેના રોજ તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ પીટીઆઈ ચીફ ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે આ કેસમાં ફોજદારી કાર્યવાહી પર 8મી જૂન સુધી સ્ટે મુક્યો હતો. ટ્રાયલ કોર્ટના આદેશ પર હાઈકોર્ટમાં 23 જૂને સુનાવણી પણ થઈ હતી અને તે સમયે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટે 23 જૂને કહ્યું હતું કે, તે બકરી ઈદ પછી આ કેસમાં ચુકાદો આપશે. પોતાની અરજીમાં ઈમરાન ખાને નિશ્ચિત સમય બાદ આ કેસમાં ફરિયાદ દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના વકીલે કહ્યું હતું કે, રિટર્ન ફાઈલ કર્યાના 4 માસની અંદર આ મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાય છે અને ત્યારબાદ નહીં.
હાઈકોર્ટના નિર્ણયના એક દિવસ પહેલા જ ઈમરાન ખાન વતી અન્ય એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કેસની ન્યાયી સુનાવણી માટે તોશાખાનાના કેસોને અન્ય ખંડપીઠમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી હતી. આ અરજીમાં જિલ્લાના ચૂંટણી પંચને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન ઈસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ્દ કર્યા બાદ પીટીઆઈ ચીફના વકીલ ગૌહર ખાને તેને મોટી જીત ગણાવી છે. તોશખાના પાકિસ્તાનમાં કેબિનેટ વિભાગ છે. આ વિભાગમાં તે કિંમતી ભેટો રાખવામાં આવે છે જે વિદેશી સરકારો અથવા રાજ્યોના વડાઓ દ્વારા પાકિસ્તાન સરકારને ભેટ તરીકે આપવામાં આવે છે. ઈમરાન ખાન જ્યારે 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અનેક વિદેશ પ્રવાસો કર્યા હતા. આ દરમિયાન તેમને ઘણી અમૂલ્ય ભેટ મળી હતી. ઈમરાને તે ભેટો તોશાખાનામાં રાખી હતી, પરંતુ થોડા સમય બાદ તેને સસ્તા ભાવે ખરીદી અને તેને ઊંચા ભાવે બજારમાં વેચીને નફો મેળવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.