Home દેશ ઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો : મોદી

ઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો : મોદી

1517
0

મોદીએ સરદાર જ્યંતિ પર રન ફોર યુનિટને રવાના કરતાં કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કર્યો
પટેલ તો પટેલ હતા,કોઈ શાસન તેમની સ્વીકૃતિ આપે કે ન આપે કોઈ રાજકીય પક્ષ તેમના મહત્વને સ્વીકારે કે ન સ્વીકારે પણ દેશ યુવા પેઢી સરદાર પટેલને ભુલવા તૈયાર નથી,મોદીએ આ પ્રસંગે હાજર ૧૫ હજારથી વધુ લોકોને એકતાના શપથ લેવડાવ્યા
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
દેશમાં નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલથી પરિચિત નથી કરાવવામાં આવી તેમ વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર રન ફોર યુનિટિને રવાના કરાવતાં પહેલા કહ્યું હતું. મોદીએ આ પ્રસંગે હાજર ૧૫ હજારથી વધુ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. દોઢ કિલોમીટર લાંબી આ દોડનું સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભાઈ પટેલની જયંતી પર દેશની એકતા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ હાજર રહ્યા હતા. સરદાર પટેલની જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
મોદીએ કહ્યું, આજે સરદાર પટેલની જન્મ જયંતી છે, ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. સરદારે આઝાદી બાદ તેમના કૌશલ્ય-દ્રઢશક્તિ દ્વારા ન માત્ર દેશને સંકટથી બચાવ્યું પરંતુ સેંકડો રજવાડાને ભારતમાં ભેળવ્યાં. અંગ્રેજોને તેમના ઇરાદામાં સફળ ન થવા દેવા તે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ હતી. દેશની નવી પેઢીને તેમનાથી પરિચિત નથી કરાવવામાં આવી. ઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો અથવા તેમના નામની અવગણના કરવામાં આવી. અનેક રાજકીય પક્ષો તેમના માહાત્મ્યનો સ્વીકાર કરે કે ના કરે પરંતુ અમારી પેઢી તેમને ઇતિહાસથી દૂર થવા માટે તૈયાર નથી.
મોદીએ કહ્યું જ્યારે દેશે અમને કામ કરવાનો મોકો આપ્યો તો તેમનું કામ પેઢીઓ સુધી જાણી શકાય તેથી અમે રન ફોર યુનિટીનું આયોજન કર્યું. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું, આજે આપણને વિચારવા અને બોલવા માટે ભારત નામનો દેશ ઉપલબ્ધ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેટ્‌સમેનશિપ અને તંત્ર પર પકડના કારણે થઈ શક્યું. આમ થવા છતાં આપણે સરદાર સાહેબની ભૂલી ગયા છીએ. રાજેન્દ્ર બાબુએ સરદાર સાહેબને ભૂલાવી દેવાની પીડા વ્યક્ત કરી હતી. આજે રાજેન્દ્ર બાબુનો આત્મા જ્યાં પણ હશે ત્યાંથી ખુશ થતો હશે.
મોદીએ કહ્યું, ભારત વિવિધતાઓનો દેશ છે. જ્યાં સુધી વિવિધતાથી ખૂદને જોડીશું નહીં ત્યાં સુધી રાષ્ટ્ર નિર્માણમાં તેનો ઉપયોગ કરી શકીએ. ભારતે વિશ્વના આચાર-વિચાર તેનામાં સમેટી લીધા છે. આજે વિશ્વમાં એક પરંપરામાં ઉછરેલા લોકો બીજા લોકોને જીવતા જોવા તૈયાર નથી. આ સમયમાં હિન્દુસ્તાન ગર્વથી કહી શકે છે કે આ અમારી તાકાત છે. જે રીતે આપણે દર વર્ષે ભાઇ-બહેનના સંબંધને મજબૂત કરવાનું પર્વ મનાવીએ છીએ તેવી રીતે એકતાનો મંત્ર યાદ રાખવો જરૂરી છે. આપણો દેશ એક રહે, સરદાર સાહેબે દેશ માટે જે કર્યું તે હવે સવાસો કરોડ લોકોની જવાબદારી છે. સરદાર સાહેબની જયંતીના ૧૫૦ વર્ષ પર આપણે તેમને શું આપીશું તેનો સંકલ્પ લેવાનો છે.
મોદીએ રન ફોર યુનિટીમાં સામેલ થયેલા લોકોને શપથ લેવડાવ્યાં કે, ‘હું સત્યનિષ્ઠાથી શપથ લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરી દઈશ અને દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જેને સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ આત્મનિષ્ઠાથી શપથ લઉ છુ. ભારત માતા કી જય.’
ક્રિકેટર સુરેશ રૈના, હોકી પ્લેયર સરદાર સિંહ, વેટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, જિમ્નાસ્ટીક દીપા કરમાકર પણ હાજર રહ્યા હતા.

Previous articleઆંતરિક પ્રદૂષણથી ૨૦૧૫માં દેશમાં ૧.૨૪ લાખ લોકોનાં મોત થયાઃ રિપોર્ટ
Next articleઅસલ દરબારી શંકર’સિંહ’ને મનાવવા ભાજપના ધમપછાડા….?