(જી.એન.એસ) તા. 11
દહેરાદૂન,
પવિત્ર ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામાંથી સૌથી વધુ 3200 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજા નંબર પર નેપાળના આશરે 1800 શ્રદ્ધાળુઓ જ્યારે ત્રીજા ક્રમે મલેશિયામાંથી 1400 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગતવર્ષે 49556 વિદેશી શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતાં.
ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે 20 માર્ચથી ઓનલાઈન આધાર તથા પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી. જેથી મર્યાદિત સંખ્યા સાથે શ્રદ્ધાળુઓ સુવિધાજનક દર્શનનો લ્હાવો લઈ શકે.
ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલથી ખુલ્લા મુકાશે. જ્યારે 2 મે, 2025ના રોજ કેદારનાથ અને 4 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. આ સાથે ચારધામ યાત્રા પૂર્ણ સ્વરૂપે શરૂ થશે. અંતે 25 મેના રોજ હેમકુંડ સાહિબના કપાટ ખુલશે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદના જોઈન્ટ ડિરેક્ટર અને ચારધામ યાત્રાના નોડલ ઓફિસર યોગેન્દ્ર ગંગવારે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ચારધામ યાત્રામાં સામેલ ન થાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.