Home દેશ - NATIONAL ‘મન કી બાત’ (110મી કડી)પ્રસારણ તારીખ: 25.02.2024

‘મન કી બાત’ (110મી કડી)પ્રસારણ તારીખ: 25.02.2024

23
0

(જી.એન.એસ),તા.૨૫

નવીદિલ્હી,

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.

સાથીઓ, કેટલાક દિવસ પછી જ માર્ચે આપણે ‘મહિલા દિવસ’ મનાવીશું. આ વિશેષ દિવસ દેશની વિકાસ યાત્રામાં નારી શક્તિના યોગદાનને નમન કરવાનો અવસર હોય છે. મહા કવિ ભારતિયારજીએ કહ્યું છે કે વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર મળશે. આજે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી, કોણે વિચાર્યું હતું કે આપણા દેશમાં, ગામમાં રહેનારી મહિલાઓ પણ ડ્રૉન ઉડાવશે. પરંતુ આજે તે સંભવ થઈ રહ્યું છે. આજે તો ગામેગામમાં ડ્રૉન દીદીની એટલી ચર્ચા થઈ રહી છે, દરેકની જીભે નમો ડ્રૉન દીદી, નમો ડ્રૉન દીદી જ સંભળાય છે. દરેક તેના વિષયમાં ચર્ચા કરી રહ્યું છે. એક બહુ મોટી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને આથી, મેં પણ વિચાર્યું કે આ વખતે ‘મન કી બાત’માં એક નમો ડ્રૉન દીદી સાથે કેમ વાત ન કરીએ . આપણી સાથે આ સમયે નમો ડ્રૉન દીદી સુનીતાજી જોડાયેલાં છે, જે ઉત્તર પ્રદેશના સીતાપુરનાં છે. આવો, તેમની સાથે વાત કરીએ.

મોદીજી: સુનીતા દેવીજી, આપને નમસ્કાર.

સુનીતા દેવી : નમસ્તે સર.

મોદીજી: અચ્છા સુનીતાજી, પહેલાં હું આપના વિષયમાં જાણવા માગું છું. આપના પરિવારના વિષયમાં જાણવા માગું છું. થોડું કંઈક જણાવો.

સુનીતા દેવી : સર, અમારા પરિવારમાં બે બાળકો છે, અમે છીએ, પતિ છે, માતાજી છે મારાં.

મોદીજી: તમે શું ભણેલાં છો, સુનીતાજી.

સુનીતા દેવી : સર, બીએ ફાઇનલ છીએ.

મોદીજી: અને ઘરમાં વેપાર વગેરે શું છે ?

સુનીતા દેવી : ખેતીવાડી સંબંધિત વેપાર અને ખેતી વગેરે કરીએ છીએ.

મોદીજી: અચ્છા સુનીતાજી, આ ડ્રૉન દીદી બનવાની તમારી યાત્રા કેવી રીતે શરૂ થઈ. તમને ટ્રેનિંગ ક્યાં મળી, કેવા-કેવા ફેરફારો, શું થયા, મારે પહેલા એ જાણવું છે.

સુનીતા દેવી : જી સર, ટ્રેનિંગ અમારી ફૂલપુર ઇફ્કૉ કંપનીમાં થઈ હતી ઇલાહાબાદમાં અને ત્યાં જ અમને ટ્રેનિંગ મળી છે.

મોદીજી: તો ત્યાં સુધી તમે ડ્રૉન વિષયમાં સાંભળ્યું હતું ક્યારેય !

સુનીતા દેવી : સર, સાંભળ્યું નહોતું, એક વાર એમ જ જોયું હતું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જે સીતાપુરનું છે, ત્યાં અમે જોયું હતું, પહેલી વાર ત્યાં જોયું હતું અમે ડ્રૉન.

મોદીજી: સુનીતાજી, મારે એ સમજવું છે કે ધારો કે તમે પહેલા દિવસે ગયાં.

સુનીતા દેવી : જી.

મોદીજી: પહેલા દિવસે તમને ડ્રૉન દેખાડ્યું હશે, પછી કંઈક બૉર્ડ પર ભણાવાયું હશે, કાગળ પર ભણાવાયું હશે, પછી મેદાનમાં લઈ જઈને અભ્યાસ, શું-શું થયું હતું? તમે મને સમજાવી શકો પૂરું વર્ણન ?

સુનીતા દેવી : જી-જી સર, પહેલા દિવસે સર અમે લોકો જ્યારે ત્યાં ગયાં, ત્યારે તેના બીજા દિવસથી અમારા લોકોની ટ્રેનિંગ શરૂ થઈ હતી. પહેલાં તો અમને થિયરી ભણાવવામાં આવી, પછી ક્લાસ ચાલ્યા હતા બે દિવસ. ક્લાસમાં ડ્રૉનમાં કયા-કયા ભાગ છે, કેવી-કેવી રીતે તમારે શું-શું કરવાનું છે, આ બધી બાબતો થિયરીમાં ભણાવવામાં આવી. ત્રીજા દિવસે, સર, અમારા લોકોનું પેપર લેવાયું હતું, તે પછી ફરી સર એક કમ્પ્યૂટર પર પણ પેપર લેવાયું હતું, અર્થાત, પહેલા ક્લાસ ચાલ્યા, પછી ટેસ્ટ લેવામાં આવી. પછી પ્રૅક્ટિકલ કરાવવામાં આવ્યા  હતા અમારા લોકોના, અર્થાત્ ડ્રૉન કેવી રીતે ઉડાવવાનું છે, કેવી-કેવી રીતે અર્થાત્ તમારે કંટ્રૉલ કેવી રીતે સંભાળવાનું છે, દરેક ચીજ શીખવાડવામાં આવી હતી પ્રૅક્ટિકલ રીતે.

મોદીજી: પછી ડ્રૉન કામ શું કરશે, તે કેવી રીતે શીખવાડ્યું ?

સુનીતા દેવી : સર, ડ્રૉન કામ કરશે કારણકે જેમ અત્યારે પાક મોટો થઈ રહ્યો છે. વરસાદની ઋતુ કે કંઈ પણ એમ, વરસાદમાં તકલીફ થશે, ખેતરમાં પાકમાં અમે લોકો ઘૂસી નહોતા શકતા, તો મજૂર કેવી રીતે અંદર જશે, તો તેના માધ્યમથી ઘણો ફાયદો ખેડૂતોનો થશે અને ત્યાં ખેતરમાં ઘૂસવું પણ નહીં પડે. અમારું ડ્રૉન જે અમે મજૂર રાખીને કામ કરીએ છીએ તે અમારા ડ્રૉનથી સીમા    ઉપર ઊભા રહીને, અમે અમારું એ કામ કરી શકીએ છીએ, કોઈ જીવજંતુ જો ખેતરની અંદર છે તો તેનાથી અમારે સાવધાની રાખવી પડશે, કોઈ તકલીફ નથી થતી અને ખેડૂતોને પણ ખૂબ જ સારું લાગે છે. સર, અમે ૩5 એકર જમીન પર છંટકાવ કરી ચૂક્યાં છીએ અત્યાર સુધીમાં.

મોદીજી: તો ખેડૂતોને પણ ખબર છે કે તેનો ફાયદો છે ?

સુનીતા દેવી : જી સર, ખેડૂતો તો બહુ સંતુષ્ટ હોય છે. કહે છે કે ખૂબ જ સારું લાગે છે. સમયની પણ બચત થાય છે. બધી સુવિધાનું તમે પોતે જ ધ્યાન રાખો છો. પાણી, દવા, બધું જ સાથે રાખો છો અને અમારે લોકોએ આવીને કેવળ ખેતર બતાવવું પડે છે કે ક્યાંથી ક્યાં સુધી મારું ખેતર છે અને બધું કામ અડધા કલાકમાં જ પતાવી દઉં છું.

મોદીજી: તો આ ડ્રૉન જોવા માટે બીજા લોકો પણ આવતા હશે, તો પછી ?

સુનીતા દેવી : સર, ખૂબ જ ભીડ આવી જાય છે. ડ્રૉન જોવા માટે ખૂબ જ લોકો આવી જાય છે. જે મોટા-મોટા ખેડૂત લોકો છે, તે લોકો પણ નંબર લઈ જાય છે કે અમે પણ તમને બોલાવીશું છંટકાવ માટે.

મોદીજી: અચ્છા. કારણકે મારું એક મિશન છે લખપતિ દીદી બનાવવાનું. જો આજે દેશ ભરની બહેનો સાંભળી રહી હોય તો એક ડ્રૉન દીદી આજે પહેલી વાર મારી સાથે વાત કરી રહી છે, તો શું કહેવા ઈચ્છશો તમે ?

સુનીતા દેવી : જેવી રીતે આજે હું એકલી ડ્રૉન દીદી છું, તો આવી જ હજારો બહેનો આગળ આવે કે મારી જેવી ડ્રૉન દીદી તેઓ પણ બને અને મને ખૂબ જ ખુશી થશે કે જ્યારે હું એકલી છું, મારી સાથે બીજા હજારો લોકો ઊભા રહેશે, તો ખૂબ જ સારું લાગશે કે અમે એકલાં નહીં, ઘણી બધીબહેનો આપણી સાથે ડ્રૉન દીદીના નામથી ઓળખાય છે.

મોદીજી: ચાલો સુનીતાજી, મારી તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. આ નમો ડ્રૉન દીદી, આ દેશમાં કૃષિને આધુનિક બનાવવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની રહી છે. મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

સુનીતા દેવી : થેંક યૂ, થેંક યૂ સર.

મોદીજી: થેંક યૂ.

સાથીઓ, આજે દેશમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં દેશની નારી શક્તિ પાછળ રહી ગઈ હોય. એક બીજું ક્ષેત્ર, જ્યાં મહિલાઓએ, પોતાની નેતૃત્વ ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે છે – પ્રાકૃતિક ખેતી, જળ સંરક્ષણ અને સ્વચ્છતા. કેમિકલથી આપણી ધરતી માતાને જે કષ્ટ થઈ રહ્યું છે, જે પીડા થઈ રહી છે, જે વેદના થઈ રહી છે, આપણી ધરતી માને બચાવવામાં દેશની માતૃશક્તિ મોટી ભૂમિકા નિભાવી રહી છે. દેશના ખૂણા-ખૂણામાં મહિલાઓ હવે પ્રાકૃતિક ખેતીને વિસ્તાર આપી રહી છે.

આજે જો દેશમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત આટલું કામ થઈ રહ્યું છે તો તેની પાછળ પાણી સમિતિઓની ખૂબ જ મોટી ભૂમિકા છે. આ પાણી સમિતિનું નેતૃત્વ મહિલાઓની પાસે જ છે. તે ઉપરાંત પણ બહેનો-દીકરીઓ, જળ સંરક્ષણ માટે ચારે તરફથી પ્રયાસ કરી રહી છે. મારી સાથે ફૉન લાઇન પર આવાં જ એક મહિલા છે કલ્યાણી પ્રફુલ્લ પાટીલ જી. તેઓ મહારાષ્ટ્રનાં છે. આવો, કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી સાથે વાત કરીને, તેમનો અનુભવ જાણીએ.

મોદીજી: કલ્યાણીજી, નમસ્તે.

કલ્યાણીજી :  નમસ્તે સરજી નમસ્તે.

મોદીજી: કલ્યાણીજી, પહેલાં તો તમે તમારા વિષયમાં, તમારા પરિવારના વિષયમાં, તમારા કામકાજના વિષયમાં જરા બતાવો.

કલ્યાણીજી : સર, હું એમએસસી માઇક્રૉબાયૉલૉજી છું અને મારા ઘરમાં મારા પતિદેવ, મારી સાસુ અને મારાં બે બાળકો છે અને ત્રણ વર્ષથી હું મારી ગ્રામ પંચાયતમાં કાર્યરત છું.

મોદીજી: અને પછી ગામમાં ખેતીના કામમાં લાગી ગયાં ? કારણકે તમારી પાસે પાયાનું જ્ઞાન પણ છે, તમારું ભણતર પણ આ ક્ષેત્રમાં થયું છે અને હવે તમે ખેતી સાથે જોડાઈ ગયાં છો, તો કયા-કયા નવા પ્રયોગ કર્યા છે તમે ?

કલ્યાણીજી : સર, અમે જે દસ પ્રકારની અમારી વનસ્પતિ છે, તેને એકત્રિત કરીને, તેમાંથી અમે ઑર્ગેનિક સ્પ્રે બનાવી જેમ કે જે અમે પેસ્ટિસાઇડ વગેરે સ્પ્રે કરતાં તો તેનાથી પેસ્ટ વગેરે જે આપણાં મિત્ર જીવડા એટલે (પેસ્ટ) હોય તે પણ નષ્ટ થઈ જતાં હતાં

અને અમારી જમીનનું પ્રદૂષણ થાય છે જે તો ત્યારે કેમિકલ ચીજો જે પાણીમાં ભળી રહી છે તેના કારણે આપણા શરીર પર પણ હાનિકારક પરિણામ જોવાં મળી રહ્યાં છે, તેના કારણે અમે ઓછામાં ઓછું પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ.

મોદીજી: તો એક પ્રકારે તમે પૂરી રીતે પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યાં છો…?

કલ્યાણીજી : હા,સર જે આપણી પારંપરિક ખેતી છે, તેવી અમે કરી ગયા વર્ષે.

મોદીજી: શું અનુભવ થયો, પ્રાકૃતિક ખેતીમાં ?

કલ્યાણીજી : સર, જે આપણી મહિલાઓ છે, તેમનો જે ખર્ચ છે, તે ઓછો લાગ્યો અને જે ઉત્પાદનો છે, સર, તો તે સમાધાન મેળવીને, અમે વિધાઉટ પેસ્ટ તે કર્યું કારણકે હવે કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે, જેમ કે શહેરી વિસ્તારોમાં તો છે જ, પરંતુ ગામડામાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે, તો તે રીતે જો તમારે તમારા આગળના પરિવારને સુરક્ષિત કરવો હોય તો આ માર્ગ અપનાવવો આવશ્યક છે. તે રીતે તે મહિલાઓ પણ સક્રિય સહભાગ તેની અંદર દેખાડી રહી છે.

મોદીજી: અચ્છા કલ્યાણીજી, તમે કંઈક જળ સંરક્ષણમાં પણ કામ કર્યું છે ? તેમાં તમે શું કર્યું છે ?

કલ્યાણીજી : સર, રેઇનવૉટર હાર્વેસ્ટિંગ આપણી જેટલી પણ સરકારી ઇમારતો છે, જેમ કે પ્રાથમિક શાળા લઈ લો, આંગણવાડી લઈ લો,

અમારી ગ્રામ પંચાયતની જે બિલ્ડિંગ છે, ત્યાંનું જે પાણી છે, વરસાદનું, તે, બધું એકઠું કરીને, અમે એક જગ્યાએ કલેક્ટ કરેલું છે અને જે રિચાર્જ શાફ્ટ છે, સર, કે જે વરસાદનું પાણી જે પડે છે, તે, જમીનની અંદર ઉતરવું જોઈએ, તો તે રીતે અમે 2૦ રિચાર્જ શાફ્ટ અમારા ગામની અંદર કરેલા છે અને 5૦ રિચાર્જ શાફ્ટની અનુમતિ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં જ, તેનું પણ કામ ચાલુ થવાનું છે.

મોદીજી: ચાલો, કલ્યાણીજી,તમારી સાથે વાત કરીને ખૂબ ખુશી થઈ.તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.

કલ્યાણીજી : સર ધન્યવાદ, સર ધન્યવાદ. મને પણ આપની સાથે વાત કરીને ખૂબ જ ખુશી થઈ. અર્થાત્ મારું જીવન સંપૂર્ણ રીતે સાર્થક થયું, એવું હું માનું છું.

મોદીજી: બસ, સેવા કરો.

મોદીજી: ચાલો, તમારું નામ જ કલ્યાણી છે, તો તમારે કલ્યાણ કરવાનું જ છે. ધન્યવાદ જી. નમસ્કાર.

કલ્યાણીજી : ધન્યવાદ સર. ધન્યવાદ.

સાથીઓ, ચાહે સુનીતાજી હોય કે કલ્યાણીજી, અલગ-અલગ ક્ષેત્રોમાં નારી શક્તિની સફળતા ખૂબ જ પ્રેરક છે. હું ફરી એક વાર આપણી નારી શક્તિની આ ભાવનાની હૃદયથી પ્રશંસા કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા બધાનાં જીવનમાં ટૅક્નૉલૉજી નું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. મોબાઇલ ફૉન, ડિજિટલ ગેજેટ્સ, આપણા બધાંની જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયાં છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ડિજિટલ ગેજેટ્સની મદદથી હવે વન્ય જીવોની સાથે તાલમેળ કરવામાં પણ મદદ મળી રહી છે ? કેટલાક દિવસ પછી, 3 માર્ચે, ‘વિશ્વ વન્ય જીવ દિવસ’ છે. આ દિવસને વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવાય છે. આ વર્ષે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમમાં ડિજિટલ ઇન્નૉવેશનને સર્વોપરિ રખાયું છે. તમને એ જાણીને આનંદ થશે કે આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં વન્ય જીવોના સંરક્ષણ માટે ટૅક્નૉલૉજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ગત કેટલાંક વર્ષમાં સરકારના પ્રયાસોથી દેશમાં વાઘની સંખ્યા વધી છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના ટાઇગર રિઝર્વમાં વાઘની સંખ્યા અઢીસોથી વધુ થઈ ગઈ છે. ચંદ્રપુર જિલ્લામાં માણસ અને વાઘના સંઘર્ષને ઓછો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. અહીં ગામ અને જંગલની સીમા પર કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ વાઘ ગામની નજીક આવે છે તો આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ની મદદથી સ્થાનિક લોકોને મોબાઇલ પર એલર્ટ મળી જાય છે. આજે આ ટાઇગર રિઝર્વની આસપાસનાં 1૩ ગામોમાં આ વ્યવસ્થાથી લોકોને ખૂબ જ સુવિધા થઈ ગઈ છે અને વાઘને પણ સુરક્ષા મળી છે.

સાથીઓ, આજે યુવા સાહસિકો પણ વન્ય જીવ સંરક્ષણ અને પર્યાવરણ પર્યટન માટે નવાં-નવાં સંશોધનો સામે લાવી રહ્યાં છે. ઉત્તરાખંડના રુડકીમાં રૉટર પ્રિસિશન ગ્રૂપે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સહયોગથી એવું ડ્રૉન તૈયાર કર્યું છે, જેનાથી કેન નદીમાં મગર પર નજર રાખવામાં મદદ મળી રહી છે. આ રીતે બેંગલુરુની એક કંપનીએ ‘બઘીરા’ અને ‘ગરુડ’ નામની ઍપ તૈયાર કરી છે. બઘીરા ઍપથી જંગલ યાત્રા દરમિયાન વાહનની ગતિ અને બીજી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.

દેશના અનેક ટાઇગર રિઝર્વમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ પર આધારિત ગરુડ ઍપને કોઈ પણ સીસીટીવી સાથે જોડીને વાસ્તવિક સમયમાં સતર્કતાનો સંદેશ મળવા લાગે છે. વન્ય જીવોના સંરક્ષણની દિશામાં આ પ્રકારના દરેક પ્રયાસથી આપણા દેશની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ થઈ રહી છે.

સાથીઓ, ભારતમાં તો પ્રકૃતિની સાથે તાલમેળ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. આપણે હજારો વર્ષોથી પ્રકૃતિ અને વન્ય જીવોની સાથે સહ અસ્તિત્વની ભાવનાથી રહેતા આવ્યા છીએ . જો તમે ક્યારેક મહારાષ્ટ્રના મેલઘાટ ટાઇગર રિઝર્વ જાવ તો ત્યાં સ્વયં તેનો અનુભવ કરી શકશો. આ ટાઇગર રિઝર્વ પાસે ખટકલી ગામમાં રહેનારા આદિવાસી પરિવારોએ સરકારની સહાયથી પોતાના ઘરને હૉમ સ્ટેમાં બદલી નાખ્યું છે. તે તેમની કમાણીનું ખૂબ મોટું સાધન બની રહ્યું છે. આ ગામમાં રહેનારા કોરકુ જનજાતિના પ્રકાશ જામકરજીએ પોતાની બે હૅક્ટર જમીન પર સાત ઓરડાનો હૉમ સ્ટે તૈયાર કર્યો છે. તેમને ત્યાં રોકાનારા પર્યટકોના ખાવાપીવાની વ્યવસ્થા તેમનો પરિવાર જ કરે છે. પોતાના ઘરની આસપાસ તેમણે ઔષધીય છોડની સાથે આંબો અને કૉફીનું ઝાડ પણ લગાવ્યું છે. તેનાથી પર્યટકોનું આકર્ષણ તો વધ્યું જ છે, બીજા લોકો માટે પણ રોજગારના નવા અવસરો બન્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પશુપાલનની વાત કરીએ છીએ તો, ઘણી વાર ગાય-ભેંસ સુધી જ અટકી જઈએ છીએ પરંતુ બકરી પણ એક મહત્ત્વનું પશુ ધન છે, જેની એટલી ચર્ચા થતી નથી. દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં અનેક લોકો બકરી પાલન સાથે પણ જોડાયેલા છે. ઓડિશાના કાલાહાંડીમાં બકરી પાલન, ગામના લોકોની આજીવિકાની સાથોસાથ તેમના જીવન સ્તરને ઉપર લાવવાનું પણ એક મોટું માધ્યમ બની રહ્યું છે.

આ પ્રયાસની પાછળ જયંતી મહાપાત્રજી અને તેમના પતિ બીરેન સાહુજીનો એક મોટો નિર્ણય છે. તેઓ બંને બેંગલુરુના મેનેજમેન્ટ વ્યાવસાયિકો હતાં, પરંતુ તેમણે વિરામ લઈને કાલાહાંડીના સાલેભાટા ગામ આવવાનો નિર્ણય કર્યો. તે લોકો કંઈક એવું કરવા ઈચ્છતા હતા જેનાથી ત્યાંના ગ્રામીણોની સમસ્યાઓનું સમાધાન પણ થાય, સાથે જ તેઓ સશક્ત પણ બને. સેવા અને સમર્પણથી ભરેલા પોતાના આ વિચારની સાથે તેમણે માણિકાસ્તુ એગ્રોની સ્થાપના કરી અને ખેડૂતો સાથે કામ શરૂ કર્યું. જયંતીજી અને બીરેનજીએ અહીં એક રસપ્રદ માણિકાસ્તુ ગૉટ બૅંક પણ ખોલી છે. તેઓ સામુદાયિક સ્તર પર બકરી પાલનને ઉત્તેજન આપી રહ્યાં છે. તેમના બકરી ખેતરમાં લગભગ કેટલાય ડઝન બકરીઓ છે. માણિકાસ્તુ ગૉટ બૅંકે તેના ખેડૂતો માટે એક પૂરી પ્રણાલિ તૈયાર કરી છે. તેના દ્વારા ખેડૂતોને 24 મહિના માટે બે બકરીઓ આપવામાં આવે છે. બે વર્ષમાં બકરીઓ ૯થી 1૦ બાળકોને જન્મ આપે છે, તેમાંથી છ બાળકોને બૅંક રાખે છે, બાકી તેના પરિવારને આપી દેવામાં આવે છે, જે બકરી પાલન કરે છે. એટલું જ નહીં, બકરીઓની દેખભાળ માટે આવશ્યક સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. આજે 5૦ ગામના 1૦૦૦થી વધુ ખેડૂતો આ દંપતી સાથે જોડાયેલાં છે. તેની મદદથી ગામના લોકો પશુપાલનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે. મને એ જોઈને ખૂબ જ સારું લાગે છે કે વિભિન્ન ક્ષેત્રોમાં સફળ વ્યાવસાયિકો નાના ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. તેમનો આ પ્રયાસ પ્રત્યેકને પ્રેરિત કરનારો છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિની શીખામણ છે –‘परमार्थपरमोधर्मः’અર્થાત્ બીજાની મદદ કરવી જ સૌથી મોટું કર્તવ્ય છે. આ ભાવના પર ચાલતા આપણા દેશના અગણિત લોકો નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે.

આવી જ એક વ્યક્તિ છે- બિહારમાં ભોજપુરના ભીમસિંહ ભવેશજી. પોતાના ક્ષેત્રના મુસહર જાતિના લોકો વચ્ચે તેમનાં કાર્યોની ઘણી ચર્ચા છે. આથી મને લાગ્યું કે કેમ નહીં, આજે તેમના વિશે પણ તમારી સાથે વાત કરવામાં આવે. બિહારમાં મુસહર એક અત્યંત વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ જ ગરીબ સમુદાય રહ્યો છે. ભીમસિંહ ભવેશજીએ આ સમુદાયનાં બાળકોના શિક્ષણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. તેમણે મુસહર જાતિના લગભગ આઠ હજાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. તેમણે એક મોટું પુસ્તકાલય પણ બનાવ્યું છે જેનાથી બાળકોને ભણવાની વધુ સારી સુવિધા મળી રહી છે. ભીમસિંહજી, પોતાના સમુદાયના સભ્યોને જરૂરી દસ્તાવેજો બનાવવામાં, તેમના ફૉર્મ ભરાવવામાં પણ મદદ કરે છે. તેનાથી જરૂરી સાધનો સુધી ગામના લોકોની પહોંચ વધુ સારી થઈ છે. લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું થાય, તે માટે તેમણે 1૦૦થી વધુ મેડિકલ કૅમ્પ યોજ્યા છે. જ્યારે કોરોનાનું મહા સંકટ માથા પર હતું, ત્યારે ભીમસિંહજીએ પોતાના ક્ષેત્રના લોકોને રસી લેવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. દેશના અલગ-અલગ હિસ્સામાં ભીમસિંહ ભવેશજી જેવા અનેક લોકો છે, જે સમાજમાં આવાં અનેક સારાં કાર્યોમાં લાગેલા છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે આ રીતે પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો, આ એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબજ મદદરૂપ સાબિત થશે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતની સુંદરતા અહીંની વિવધતા અને આપણી સંસ્કૃતિના અલગ-અલગ રંગોમાં પણ સમાહિત છે. મને એ જોઈને સારું લાગે છે કે કેટલાય લોકો નિઃસ્વાર્થ ભાવથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને તેને સજાવવા-નિખારવાના પ્રયાસોમાં લાગેલા છે. તમને આવા લોક ભારતના દરેક હિસ્સામાં મળી જશે. તેમાંથી મોટી સંખ્યા એવા લોકોની પણ છે, જે ભાષાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ગાન્દરબલના મોહમ્મદ માનશાહજી છેલ્લા ત્રણ દાયકાથી ગોજરી ભાષાને સંરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગેલા છે. તેઓ ગુજ્જર બકરવાલ સમુદાયના છે જે એક જનજાતીય સમુદાય છે. તેમને બાળપણમાં ભણતર માટે કઠિન પરિશ્રમ કરવો પડતો હતો, તેઓ પ્રતિ દિન 2૦ કિલોમીટર ચાલીને જતા હતા. આ પ્રકારના પડકારો વચ્ચે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને આવામાં જ તેમનો પોતાની ભાષાને સંરક્ષિત કરવાનો સંકલ્પ દૃઢ થયો. સાહિત્યના ક્ષેત્રમાં માનશાહજીનાં કાર્યોનું વર્તુળ એટલું મોટું છે કે તેને લગભગ 5૦ સંસ્કરણોમાં સમાવાયું છે. તેમાં કવિતાઓ અને લોકગીત પણ સમાવિષ્ટ છે. તેમણે અનેક પુસ્તકોનો અનુવાદ ગોજરી ભાષામાં કર્યો છે.

સાથીઓ, અરુણાચલ પ્રદેશના તિરપના બનવંગ લોસુજી એક શિક્ષક છે. તેમણે વાંચો ભાષાના પ્રસારમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું છે. આ ભાષા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામના કેટલાક હિસ્સાઓમાં બોલવામાં આવે છે. તેમણે એક લેન્ગવેજ સ્કૂલ બનાવવાનું કામ કર્યું છે. તેમણે વાંચો ભાષાની એક લિપિ પણ તૈયાર કરી છે. તેઓ નવી પેઢીને પણ વાંચો ભાષા શીખવી રહ્યા છે જેથી તેને લુપ્ત થવાથી બચાવી શકાય.

સાથીઓ, આપણા દેશમાં ઘણા બધા લોકો એવા પણ છે, જે ગીતો અને નૃત્યોના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને ભાષાને સંરક્ષિત કરવામાં લાગેલા છે. કર્ણાટકના વેંકપ્પા અમ્બાજી સુગેતકરનું જીવન પણ આ બાબતમાં ખૂબ પ્રેરણાદાયી છે.અંહીના બગલકોટના રહેવાસી સુગેતકરજી એક લોકગયક છે.  તેમણે 1૦૦૦થી વધુ ગોંધલી ગીતો ગાયાં છે, સાથે જ, આ ભાષામાં, વાર્તાઓનો પણ ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો છે. તેમણે ફી લીધા વગર, સેંકડો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી છે. ભારતમાં ઉમંગ અને ઉત્સાહથી ભરેલા આવા લોકોની ખોટ નથી, જે, આપણી સંસ્કૃતિને નિરંતર સમૃદ્ધ બનાવી રહ્યા છે.

તમે પણ તેમાંથી પ્રેરણા લો, કંઈક પોતાની રીતે કરવાનો પ્રયાસ કરો. તમને ખૂબ જ સંતોષનો અનુભવ થશે.

મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પહેલાં હું વારાણસીમાં હતો અને ત્યાં મેં એક ખૂબ જ શાનદાર ફૉટો પ્રદર્શન જોયું. કાશી અને આસપાસના યુવાનોએ કેમેરામાં જે દૃશ્યો ઝડપ્યાં છે, તે અદ્ભુત છે. તેમાં ઘણા ફૉટોગ્રાફ એવા છે, જે મોબાઇલ કેમેરાથી પાડવામાં આવ્યા હતા. ખરેખર, આજે જેમની પાસે મોબાઇલ છે, તે એક કન્ટેન્ટ ક્રીએટર બની ગયા છે. લોકોને પોતાની કળા અને પ્રતિભા દેખાડવામાં સૉશિયલ મીડિયાએ પણ ખૂબ જ મદદ કરી છે. ભારતના આપણા યુવા સાથી કન્ટેન્ટ ક્રીએશનના ક્ષેત્રમાં કમાલ કરી રહ્યા છે. ચાહે કોઈ પણ સૉશિયલ મીડિયા મંચ હોય, તમને અલગ-અલગ વિષયો પર અલગ-અલગ કન્ટેન્ટ શૅર કરતા આપણા યુવા સાથી મળી જ જશે. પર્યટન હોય કે સમાજ સેવા હોય, જનભાગીદારી હોય કે પછી પ્રેરક જીવન યાત્રા, તેની સાથે જોડાયેલાં અનેક પ્રકારનાં કન્ટેન્ટ સૉશિયલ મીડિયા પર મળે છે. કન્ટેન્ટ ક્રીએટ કરી રહેલા દેશના યુવાનોનો અવાજ આજે ખૂબ જ પ્રભાવી બની ચૂક્યો છે. તેમની પ્રતિભાને સન્માન આપવા માટે દેશમાં નેશનલ ક્રીએટર્સ એવૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેની અંતર્ગત અલગ-અલગ શ્રેણીમાં તે ચેન્જ મેકર્સને સન્માનિત કરવાની તૈયારી છે, જે સામાજિક પરિવર્તનને પ્રભાવી અવાજ બનાવવા માટે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ કન્ટેસ્ટ My Gov પર ચાલી રહી છે અને હું કન્ટેન્ટ ક્રીએટર્સને તેની સાથે જોડાવા માટે અનુરોધ કરીશ. તમે પણ જો આવા ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ ક્રીએટર્સને જાણતા હો, તો તેમને નેશનલ ક્રીએટર્સ એવૉર્ડ માટે જરૂર નામાંકિત કરો.

મારા પ્રિય દેશવાસીઓ, મને એ વાતનો આનંદ છે કે કેટલાક દિવસ પહેલાં જ ચૂંટણી પંચે એક બીજા અભિયાનનો પ્રારંભ કર્યો છે – ‘મારો પહેલો વૉટ દેશ માટે’. તેના દ્વારા વિશેષ રૂપે ફર્સ્ટ ટાઇમ વૉટર્સને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતને જોશ અને ઊર્જાથી ભરપૂર પોતાની યુવા શક્તિ પર ગર્વ છે. આપણા યુવા સાથી ચૂંટણી પ્રક્રિયામાં જેટલી વધુ ભાગીદારી કરશે, તેનાં પરિણામો દેશ માટે એટલાં જ લાભદાયક નિવડશે. હું પણ ફર્સ્ટ ટાઇમ વૉટર્સને અનુરોધ કરીશ કે તેઓ રેકૉર્ડ સંખ્યામાં વૉટ કરે. 18ના થયા પછી તમને 18મી લોકસભા માટે સભ્ય ચૂંટવાનો અવસર મળી રહ્યો છે. અર્થાત્ તે 18મી લોકસભા પણ યુવા આકાંક્ષાની પ્રતીક હશે. આથી, તમારા વૉટનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. સામાન્ય ચૂંટણીની આ હલચલ વચ્ચે, તમે, યુવાનો, ન માત્ર, રાજકીય ગતિવિધિઓનો હિસ્સો બનો, પરંતુ આ દરમિયાન ચર્ચા અને સંવાદ વિશે પણ જાગૃત બન્યા રહો. અને યાદ રાખજો, ‘મારો પહેલો વૉટ – દેશ માટે’. હું દેશના ઇન્ફ્લુઅન્સર્સને પણ અનુરોધ કરીશ, ચાહે તે ખેલ જગતના હોય, ફિલ્મ જગતના હોય, સાહિત્ય જગતના હોય, બીજા વ્યાવસાયિકો હોય કે આપણા ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબના ઇન્ફ્લુઅન્સર્સ હોય, તેઓ પણ આ અભિયાનમાં ઉત્સાહથી હિસ્સો લે અને આપણા ફર્સ્ટ ટાઇમ વૉટર્સને મૉટિવેટ કરે.

સાથીઓ, ‘મન કી બાત’ના આ એપિસૉડમાં મારી સાથે આટલું જ. દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ છે અને જેમ ગયા વખતે થયું હતું, સંભાવના છે કે માર્ચ મહિનામાં આચાર સંહિતા પણ લાગી જશે. તે ‘મન કી બાત’ની ખૂબ મોટી સફળતા છે કે ગત 11૦ એપિસૉડમાં આપણે તેને સરકારના પડછાયાથી પણ દૂર રાખી છે. ‘મન કી બાત’માં દેશની સામૂહિક શક્તિની વાત હોય છે, દેશની ઉપલબ્ધિની વાત હોય છે.

તે એક રીતે જનતાનો, જનતા માટે, જનતા દ્વારા તૈયાર થતો કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં, રાજકીય મર્યાદાનું પાલન કરતા, લોકસભા ચૂંટણીના આ દિવસોમાં હવે આગામી ત્રણ મહિના ‘મન કી બાત’નું પ્રસારણ નહીં થાય. હવે જ્યારે તમારી સાથે ‘મન કી બાત’માં સંવાદ થશે તો તે ‘મન કી બાત’નો 111મો એપિસૉડ હશે. આગામી સમયે ‘મન કી બાત’નો પ્રારંભ 111ના શુભ અંકથી થાય તો તેનાથી સારું ભલા બીજું શું હોઈ શકે ? પરંતુ સાથીઓ, તમારે મારું એક કામ કરતા રહેવાનું છે. ‘મન કી બાત’ ભલે ત્રણ મહિના માટે થંભી રહી છે, પરંતુ દેશની ઉપલબ્ધિઓ થોડી અટકશે, આથી તમે ‘મન કી બાત’ હૅશટૅગ (#) સાથે સમાજની ઉપલબ્ધિઓ, દેશની ઉપલબ્ધિઓને સૉશિયલ મીડિયા પર મૂકતા રહો. કેટલાક સમય પહેલાં એક યુવાને મને એક સારું સૂચન કર્યું હતું. સૂચન એ હતું કે ‘મન કી બાત’ના અત્યાર સુધીના એપિસૉડમાંથી નાના-નાના વિડિયો યૂટ્યૂબ શૉર્ટ્સ તરીકે શૅર કરવા જોઈએ. આથી હું ‘મન કી બાત’ના શ્રોતાઓને આગ્રહ કરીશ કે આવા શૉર્ટ્સને ખૂબ જ શૅર કરો.

સાથીઓ, જ્યારે આગામી વખતે તમારી સાથે સંવાદ થશે, તો પછી, નવી ઊર્જા, નવી જાણકારી સાથે તમને મળીશ. તમે તમારું ધ્યાન રાખજો, ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૌરાણિક કૃષ્ણ નગરી દ્વારકામાં સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય
Next articlePhotoline: પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી