Home દેશ - NATIONAL ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ હવે CBI કરશે

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ હવે CBI કરશે

70
0

278 મૃતદેહોમાંથી 177ની ઓળખ થઈ ગઈ

(GNS),06

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

અગાઉ રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. આપને જણાવી દઈએ કે, 3 જૂનના રોજ, બાલાસોરમાં સરકારી રેલવે પોલીસ (GRP)એ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

રેલવેએ કહ્યું કે સોમવારે ત્રણ ઘાયલોના મૃત્યુ પછી, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 278 થઈ ગયો છે. જો કે, ઓડિશા સરકારના આંકડા અનુસાર, મૃત્યુઆંક હજુ પણ 275 છે. ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ જણાવ્યું હતું કે 2 જૂને ત્રણ ટ્રેનની ટક્કરથી સર્જાયેલા અકસ્માતમાં 278 લોકોના મોત થયા હતા અને 1100 લોકો ઘાયલ થયા હતા.આપને જણાવી દઈએ કે, ટ્રેન દુર્ઘટના પછી બીજા દિવસે મૃત્યુઆંક 288 હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઓડિશા સરકારે રવિવારે આંકડાઓમાં સુધારો કર્યો અને માહિતી આપી કે 275 લોકોના મોત થયા છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી.

આંકડાઓ પર સવાલ ઉઠાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમના રાજ્યના 61 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને 182 લોકો હજુ પણ ગુમ છે. ડીઆરએમ રિંકેશ રેએ જણાવ્યું હતું કે હાલમાં 200 થી ઓછા લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે 278 મૃતદેહોમાંથી 177ની ઓળખ થઈ ગઈ છે જ્યારે 101 મૃતદેહોની ઓળખ થવાની બાકી છે અને આ મૃતદેહોને છ અલગ-અલગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રેલવેએ ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં લોકોને તૈનાત કર્યા છે. મૃતદેહોને વૈજ્ઞાનિક રીતે સાચવવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

એસબીઆઈ લાઈફ સહિતની કેટલીક વીમા કંપનીઓએ ઓડિશા ટ્રેન અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના દાવાઓના પ્રાથમિક પતાવટની જાહેરાત કરી છે, જેથી પીડિતોના પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત મળી શકે. જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલના ચેરમેન તપન સિંઘલે જણાવ્યું હતું કે, “પીડિતોને ટેકો આપવા માટે, ગ્રાહકો અથવા તેમના પરિવારના સભ્યો માટે વીમા કંપનીઓ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે અમે એક સમર્પિત હેલ્પલાઈન અને ડિજિટલ ક્ષમતાઓ બનાવી છે. સિંઘલે જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ આવા દાવાઓને ઝડપી બનાવવા અને વીમાધારકના દાવાઓને કોઈપણ મુશ્કેલી વિના અને વહેલામાં વહેલી તકે પતાવટ કરવા માટે વિશેષ ટીમોની રચના કરી છે.

SBI લાઇફે પોલિસીધારકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 1800 267 9090 પણ જાહેર કર્યો છે. દાવાની પતાવટ માટે દસ્તાવેજો સબમિટ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. અન્ય કંપનીઓએ પણ સમાન પગલાં લીધાં છે. શ્રી દેવોત્થાન સેવા સમિતિએ બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં દાવા વગરના મૃતદેહના અગ્નિસંસ્કાર પછી રાખવામાં આવેલા કલશને વૈદિક વિધિથી વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે.

હરિદ્વારના કંખલ સતીઘાટ ખાતે 100 કિલો દૂધની ધારા સાથે વૈદિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ અનિલ નરેન્દ્રએ કહ્યું છે કે આ હૃદયદ્રાવક અકસ્માતથી સમગ્ર દેશ આઘાતમાં છે. લાવારિસ મૃતદેહોના ઢગલાના સમાચારે સંસ્થાને હચમચાવી મુકી છે. સમિતિની એક ટીમ ટૂંક સમયમાં બાલાસોર જવા રવાના થશે. જ્યાં સરકાર અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા પછી લાવારિસ મૃતદેહોના કલશનો સંગ્રહ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદમાં અંધાધુંધ ગોળીબાર
Next articleદૈનિક રાશિફળ (તા.૦૮-૦૬-૨૦૨૩)