Home ગુજરાત લો બોલો…અધ્યક્ષશ્રી જ કહે છે કે ગ્રુહમાં ગાળાગળી ભલે કરો પણ મારામારી...

લો બોલો…અધ્યક્ષશ્રી જ કહે છે કે ગ્રુહમાં ગાળાગળી ભલે કરો પણ મારામારી ના કરો…?!!!

786
0

(જી.એન.એસ., ધિમંત પુરોહિત), તા.14
1996માં જ્યારે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી સુરેશ મહેતાની સરકારના વિશ્વાસના મત વખતે કોંગ્રેસે સભાગૃહની અંદર માઇકો તોડ્યા, તોડફોડ કરી, સૂત્રોચ્ચારો કર્યા અને જે ધાંધલ મચાવી તે જોઇને એમ લાગ્યું હતું કે ગુજરાતની વિધાનસભામાં હવે પછી એવા દ્રશ્યો નહીં સર્જાય. પણ એવું વિચારનારા ખોટા પડ્યા અને 14 માર્ચ એટલે કે ગાંધીજીની દાંડી યાત્રાના બે દિવસ પછી જે દ્રશ્યો સર્જાયા તે જોઇને હવે એમ કહેવું પડશે કે ગુજરાતની વિધાનસભામાં આવું નહીં થાય એમ કહી શકાય નહીં. કેમ કે યહાં કુછ ભી હો શક્તા હૈ….!!!
14 માર્ચના રોજ સભાગૃહમાં જે થયું તેમાં ગુજરાતે આત્મ ચિંતન કે આત્મ મંથન કરવાની જરૂર નથી. કેમ કે હવે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર આવું જ ચાલશે. કારણ? એકને એટલી બેઠકો મળી છે કે જો 10-12 આઘાપાછા થયા તો ખેલ પડી જાય. અને એકને એટલી બેઠકો મળી છે કે જો તેને સત્તાપક્ષમાંથી 10-12 મળી રહે તો સત્તા મળી રહે તેમ છે. યાદ કરો. નીતિન પટેલે નાણાં વિભાગ માટે જે અસંતોષ જાહેર કર્યો ત્યારે કોંગ્રેસના વીરજી ઠુમ્મરે શું કહ્યું હતું? નીતિનભાઇ 10 ધારાસભ્યો લઇને આવે અમે એમને સીએમ બનાવીશું. એટલે બન્નેની નજર 10-12ને સાચવવાના અને 10-12ને લાવવાની છે. તેમાં વળી આવું બને એટલે ભાજપે ખેલ તો એવો જ રચ્યો હશે કે પેલા 3 ધારાસભ્યોના સભ્યપદ જ રદ્દ કરી નાંખવા. જેથી કોંગ્રેસના 3 ઓછા થાય. યાદ રહે કે અધ્યક્ષને એવું લાગે તો ધારાસભ્યપદ પણ રદ્દ કરી શકે છે. જો કે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દયા રાખીને કોંગ્રેસના બે ધારાસભ્યો પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 5 વર્ષને બદલે 3 વર્ષ માટે જ સસ્પેન્ડ કર્યા. બાકી તેમણે તો 5 વર્ષનું જ નક્કી કર્યું હતું. ખુદ અધ્યક્ષે આ વાત કહી કે શાસકપક્ષ વિપક્ષ પ્રત્યે ઉદાર રહ્યું છે. અધ્યક્ષે વિપક્ષને એવી સલાહ આપી કે તમે શબ્દોથી સરકાર સામે લડો પણ હુમલાઓ ના કરો.
વિધાનસભામાં જે થયું તેના કારણોમાં એક કારણ એ પણ કોંગ્રેસ આપે છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો ગાળો બોલીને તેમનવે ઉશ્કેરતા હતા તેથી તેમાંથી આ મારામારી થઇ. હવે ગાળાગાળી તો શબ્દોથી જ થાય ને. કોઇને સુણાવી દેવું હોય તો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડે. બોલવું પડે. શબ્દો ઉચ્ચારવા પડે. તો શું અધ્યક્ષશ્રી એમ કહેવા માંગતા હતા કે તમે ગાળાગળી ભલે કરો પણ હુમલાઓ એટલે કે મારામારી ના કરો…?!!! અધ્યક્ષના આ કહેવાનો શું અર્થ કાઢવો એ અંગે કોંગ્રેસવાળા માથુ ખંજવાળે છે… તેમને એવું લાગી રહ્યું હશે કે મારામારીના બદલે માત્ર શબ્દોથી હુમલા( તેને ગાળાગાળી કહીશું?) કર્યા હોત તો વાત 1 વર્ષ કે 3 વર્ષના સસ્પેન્ડ સુધી ગઇ ના હોત. અલબત્ત આ એક ધારણાં છે. અધ્યક્ષનો કહેવાનો ભાવાર્થ એવો નહીં જ હોય. પણ કોઇ અળવીતરાં વળી પાછા તેમાંથી એવો ગૂઢાર્થ શોધી કાઢે તો તેને શું કહીશું…ખોજી સંવાદદાતા…? કે મનમોજી વૃતાંત નિવેદક……? હશે અધ્યક્ષને બિચ્ચારાને કેટલા કામો હોય છે. સભાગૃહમાં સરકારને ખોટુ ના લાગે તેવું કરવું અને વિપક્ષને એમ લાગે કે અધ્યક્ષ તો આપણાં જ એટલે કે વિપક્ષના છે….
વિધાનસભામાં જે થયું તેની કાંઇ તપાસ થવાની નથી. કોણે ગાળો બોલી તે ટીવીમાં ના સંભળાયું પણ કોણ માઇક તોડીને ક્યાં ગયો તે જગઆખાએ જોયું અને હવે 3 વર્ષ સુધી સભાગૃહની બહાર બેસી રહેવાનું. અંદર જવાની મનાઇ. અંદર જવું હોય તો અધ્યક્ષ પાસે જવાનું. તેમની મંજૂરી મળે તો જ હાઉસમાં નહીંતર પોતાના હાઉસમાં બેસીને પ્રજાના પ્રશ્નો માટેના કાગળો ધારાસભ્યના લેટરહેડ પર લખ્યા કરવાના…લખ્યા કરવાના….લિખતે લિખતે લવ હો જાયે…કહેનાર રોટોમેક પેનના માલિકે બેંકોને એકવા વોટરથી મસ્ત રીતે નવડાવી. આ તો લખવાની અને પેનની યાદ આવી એટલે યાદ આવ્યું. બાકી લોકો પાસે તો સમય જ ક્યાં છે કે વિધાનસભામાં શું થયું. તેને તો બસ આજે દિવસ ભરાઇ ગયો એટલે એ…ય મેક્રો સાથે વારાણસી જઇને ગંગા નાહ્યાં….!!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીને ‘નીચ’ કહેનાર રાષ્ટ્રદ્રોહી અને “રમ’માં રામ અને ‘વ્હીસ્કી’માં વિષ્ણુ કહેનાર રાષ્ટ્રવાદી…!!
Next articleઆપણે જ રોડ છાપ નેતાઓને વિધાનસભા-લોકસભામાં મોકલીએ છીએ એમાં માઠુ ન લગાડાય……