Home ગુજરાત ભાજપ સરકારો પ્રથમ કોંગ્રેસને તક પૂરી પાડે , ને પછી રાજકારણ કરવાનો...

ભાજપ સરકારો પ્રથમ કોંગ્રેસને તક પૂરી પાડે , ને પછી રાજકારણ કરવાનો આક્ષેપ કરે

841
0

તા. ૨ એપ્રિલના રોજ દલિત સમાજ દ્વારા સુપ્રિમ કોર્ટ ના એટ્રોસિટી એક્ટ અંગેના ચુકાદા સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું . અનેક રાજ્યો અને વ્યાપક સ્થળો એ તા. ૨ એપ્રિલના રોજ હિંસક ઘટનાઓ બની . કોંગ્રેસ પક્ષ દ્વારા દલિતોના સમર્થનમાં બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો . હિંસક ઘટનાના દ્રશ્યો તથા ભાજપના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓના નિવેદનો સતત ટી.વી. માધ્યમ દ્વારા દેશની પ્રજા નિહાળી રહી હતી . ભાજપ સતત કોંગ્રેસ વિરોધી તર્ક શોધી શોધી ને બચાવનામું રજુ કરતો હતો . ભાજપના એક પૂર્વ મંત્રી સાથે ફોન પર વાત ચાલી . તેમના નગરમાં પણ તોફાનો ચાલુ હતા . આ નેતાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે “ મને તો નવાઈ એ લાગે છે કે અમારા મુખ્યમંત્રી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે કે કોંગ્રેસના નેતાઓ મગરના આંસુ સારીને દલિતોના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે . અરે વિજય ભાઈ , આપણે રામના મુદ્દે જે કરીએ છીએ તે કોંગ્રેસ દ્વારા ભીમના મુદ્દે કરે છે . આપણે કોંગ્રેસને આવી સરસ તક પૂરી પાડીએ અને પછી અપેક્ષા રાખીએ કે કોંગ્રેસ પક્ષે કશું જ બોલવાનું નથી . આ તે કેવી લોકશાહી ! કેરલ રાજ્યમાં સંઘના સ્વયંસેવકો ની હત્યા થાય ત્યારે ભાજપના અને સંઘના નેતાઓ જે પ્રકારની ઉત્ક્રુષ્ટ સંવેદના વ્યક્ત કરે છે , તેવી જ સંવેદના જો દલિતો પરના અત્યાચાર – ઉના કાંડ કે દલિતોની હત્યા થાનગઢ કાંડ વખતે ભાજપના નેતાઓ અને સરકારે સંવેદનશીલ થઈને પગલા લીધા હોત તો આજે કોંગ્રેસને રાજનીતિ કરવાની તક દલિતોએ તેમને આપી ન હોત. પરંતુ દલિતો ભાજપથી દાજેલા છે . હવે આવા સમયે તેઓ ગુજરાતમાં બીજો પક્ષ નથી એટલે કોંગ્રેસ પાસે અપેક્ષા રાખે છે . ભાજપ સરકારે આવી તક તેમને આપવી જ શા માટે જોઈએ .” મિત્રને કહ્યું કે તમે મારી પાસે હૈયા વરાળ ઠાલવો છો , તો એકાદ વાર દિલ્હી જઈ આવો અને આપણા નરેન્દ્રભાઈ અને આપણા અમિત ભાઈ પાસે તમારી વ્યથા વ્યક્ત કરી આવો . નેતાએ કહ્યું “ કેમ ભાઈ , તમે મિત્ર મટી ને દુશમન થવા લાગ્યા . આવી સલાહ તો જે દુશ્મન ને પૂરો કરવો હોય તેને જ આપવાની હોય .” નેતાજી ને કહ્યું કે મને ખાતરી છે કે તમે મિડિયા સમક્ષ મિત્રભાવે વ્યથા વ્યક્ત કરીને પ્રજા સુધી તમારી ચિંતાને પહોચાડવા માગો છો . પરિવારના કુશળ સમાચાર પૂછી મિત્ર એ ફોન પૂરો કર્યો . 

રાહુલજીને કોણ સમજાવે કે રાજકારણમાં તો ઘરડા જ ગાડા વાળે

રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી , સૌ પ્રથમ ગુજરાતમાં યુવાનોને જવાબદારી સોપવાનો નિર્ણય કર્યો છે . પ્રથમ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીની પસંદગી કરી . ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે યુવાન અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે . હવે ગુજરાતમાં જે હોદ્દેદારો નીમાવાના છે તે અંગે અનેક અટકળો કોંગ્રેસ પક્ષમાં સંભાળવા મળે છે . જુના ઘસાઈ ગયેલા સિક્કાઓ ને ચલણમાંથી દુર કરવાનું રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે . જેઓ પોતે જીતી નથી શકતાં તેઓ બીજાને શું જીતાડી શકશે ! માટે હારેલાઓને બાજુ પર મુકવામાં આવશે . જો આ અટકળો સાચી ઠરે તો ? ગુજરાતમાં જેઓ યુનિવર્સિટીમાં અને કોલેજોમાં ધમાલ કરીને નેતા બન્યા છે તેઓ સહુકોઈ ગુજરાતના નેતાઓ હશે . તાજેતરમાં વિધાનસભા સત્ર પુરું થયું . કોંગ્રેસના એક નેતાને દોઢ ડાહ્યાએ પૂછ્યું કે આ વખતે તમે જીત્યા નથી માટે ગૃહમાં ન હતા . પરંતુ તમે ગૃહની કાર્યવાહીમાં કોંગ્રેસની કામગીરી અંગે શું કહેવા માગો છો ? નેતા એ કહ્યું “ હું હવે ગૃહમાં નથી , એટલે કોંગ્રેસ વિષે બોલવાનો મને અધિકાર નથી . પરંતુ ઓફ ધ રેકર્ડ વાત કરું તો એવું લાગ્યું કે ગૃહમાંથી સસ્પેન્ડ થવું જ નથી , એવી માનસિકતા સાથે જે રજુઆતો થઇ , તેમાં કોંગ્રેસને કશો ફાયદો કે ભાજપને કશું નુકસાન થયું નથી . ટૂંકમાં આવું વલણ પક્ષ માટે હાનીકારક કહેવાય . તમે મીડિયા વાળા એવો આક્ષેપ પણ કરો કે કોંગ્રેસ – ભાજપની મિલી ભગત છે . ભળે સસ્પેન્ડ ન થાવ , પરંતુ આક્રમકતા તો રાખવી જ પડે . ડંખ નાં મારો તો પણ ફુફાડો જરૂરી હતો . ” અન્ય એક નેતાને ફોન કરી યુવા નેતાગીરી અંગે રાહુલજી ની માનસિકતા અને અમિત ચાવડા ની નિયુક્તિ અંગે પૂછ્યું . તેમણે કહ્યું કે “ સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે . રાજકારણમાં ડીગ્રીઓ નહિ , પણ અનુભવે સફળતા મળતી હોય છે . રાહુલ બાબા ને કોણ આ બધું સમજાવે . જોયા કરો . એક તરફ ત્રીજો મોરચો મક્કમતાથી આગળ વધે છે . ભાજપની તાકાતથી સૌ કોઈ અવગત છે જ . આ સ્થિતિ માં કોંગ્રેસે પીઢ રાજકારણીની ભૂમિકા અદા કરવાની છે . એ આ યુવા મંડળી થી શક્યા બને એવું લાગતું નથી . ” આજે યુવાનોને આગળ કરવાની વાત સર્વત્ર ચાલે છે . પરંતુ સાથે વડીલોનું માર્ગદર્શન અનિવાર્ય પણ છે .

ફી નિર્ધારણનો મુદ્દો હવે વાલીઓ અને શાળા સંચાલકોનો જ રહ્યો છે

પ્રગતિનગર ગાર્ડનમાં સવારે ઓટલા પરિષદમાં જીતુભાઈ શેઠે ભટ્ટજી માસ્તર ને પૂછ્યું “ માસ્તર , હવે આ ફી નિર્ધારણના મુદ્દે સરકાર કશું કરવાની કે તમારે ને અમારે જ સમજી લેવાનું છે ? ” સૌના હાસ્ય વચ્ચે ભટ્ટજી એ કહ્યું “ અમારે તો તમે કહો છો એજ સ્થિતિ આવશે. સરકાર જો શાળા સંચાલકો સાથે પાછલા બારણે સમાધાન કરીને વાલીઓને કોર્ટ અને શાળા સંચાલકોના ભરોસે છોડી દેતી હોય , તો પછી સાચું અને સારું તો એ છેકે વાલીઓ શાળા સંચાલકો સાથે બેસીને સમાધાનકારી કોઈ માર્ગ શોધી કાઢે .” નિવૃત અધિકારી ત્રિવેદી સાહેબે કહ્યું “ જ્યાં જ્યાં સરકાર વચ્ચે પડે છે , ત્યાં ત્યાં આવી જ સ્થિતિ થાય છે . સરકાર હંમેશા સંસ્થા – કંપની કે ઇન્સ્ટીટયુટ ની તરફેણમાં જ હોય છે . આ વાસ્તવિક્તા સૌ કોઈએ સમજી લેવાની જરૂર છે . અને કોર્ટમાં એક વાર પગ મુક્યો પછી તમારી ત્રણ પેઢી સુધી કેસ ચાલ્યા કરવાના . બહેતર તો એ છે કે વાલીઓ પોતાને પોસાય એવી ફી જ્યાં હોય ત્યાં પોતાના બાળકને ભણાવે . દેખા દેખી મા વધુ ફી વાળી શાળામાં લાગવગો લગાવીને ડોનેશનો આપીને એડમીશન લેવાનું ને પછી ફી મુદ્દે હોબાળો કરવો . આ બંને ન ચાલે . ”  

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅતિ ઉત્સાહી સ્મૃતિ ઇરાની પત્રકારોના કાર્ડ રદ્દ કરવાની હાસ્યાસ્પદ ધમકી આખરે રદ કરવી પડી…..
Next articleમોબાઈલ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર માનસિક અત્યાચાર..શું સુપ્રીમકોર્ટની માનહાનિ નથી?