(જી.એન.એસ.)ઈસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનનાં પૂર્વ પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફનું રાષ્ટ્રીય ઓળખપત્ર અને પાસપોર્ટ રદ કરવાના આદેશ થયા છે. પાક. મીડિયાએ આ અંગેના દાવા કરતાં કહ્યું છે કે પાકિસ્તાનની સરકારના આંતરિક સુરક્ષામંત્રાલય દ્વારા આ મુજબના આદેશ થઈ ચૂક્યા છે.
મીડિયાએ દાવો કર્યો હતો કે વિશેષ અદાલત દ્વારા થયેલા આદેશનો અમલ કરતાં સરકારે કેટલાંક આદેશ કરી દીધા છે. આ આદેશને પગલે દુબઈમાં રહેતા મુશર્રફ હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકે અને તેમના બેન્ક ખાતા પણ સ્થગિત થઈ જશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં બંધારણને બદલીને મુશર્રફે રાષ્ટ્રપતિ શાસનનો અમલ કર્યો હોવાના અપરાધસર મુશર્રફ સામે દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.
અખબારી અહેવાલો મુજબ સરકારે રાષ્ટ્રીય ડેટાબેઝ અને પાસપોર્ટ મહાનિદેશાલયને તેની સૂચના મુજબના પગલાં લેવા સૂચના આપી દીધી છે. વિશેષ અદાલતે 8 માર્ચના રોજ સુનાવણી કરતી વખતે મુશર્રફનો પાસપોર્ટ અને એનઆઈસી સસ્પેન્ડ કરવા સૂચના આપી હતી. આદાલતે તે સાથે જ મુશર્રફની ધરપકડ કરવા એને તેમની સંપત્તિ જપ્ત કરવાના પણ આદેશ આપ્યા હતા.જોકે સરકારી પ્રવક્તાએ આ અહેવાલોને સમર્થન નથી આપ્યું કે તેનો ઇનકાર પણ નથી કર્યો.
માર્ચ 2013માં મુશર્રફ પાકિસ્તાન પાછા આવ્યા પછી અદાલતે તેમના વિદેશપ્રવાસ સામે પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેમનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું હતું. તે પછી મુશર્રફ સારવાર માટે 18 માર્ચ 2016ના રોજ દુબઈ જતા રહ્યા હતા.